લક્ષ્મી
સમૃદ્ધિ અને સદનસીબના હિન્દુ દેવી / From Wikipedia, the free encyclopedia
લક્ષ્મી માતા હિંદુ ધર્મની એક મુખ્ય દેવી છે. ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ધન તેરસના દિવસે ગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદાનોમાં એક લક્ષ્મી પણ છે. જેના પર આ અનુગ્રહ ઉતરે છે, તે દરિદ્ર, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતો નથી. સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ 'શ્રી' કહેવાય છે. આ સદગુણો જ્યાં હશે, ત્યાં દરિદ્રતા, કુરુપતા ટકી શકશે નહીં.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને લક્ષ્મી કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે 'લક્ષ્મી' શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. લક્ષ્મી જ્યાં આવે છે એને લક્ષ્મીવાન, શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે.