હંગેરીયન–ભારતીય ચિત્રકાર From Wikipedia, the free encyclopedia
અમૃતા શેરગિલ ( ૩૦ જાન્યુઆરી, ૧૯૧૩ – ૫ ડિસેમ્બર, ૧૯૪૧) પ્રખ્યાત હંગેરીયન–ભારતીય ચિત્રકાર હતાં. તેમને ૨૦મી સદીની શરૂઆતના પ્રથમ કક્ષાના મહિલા કલાકાર તેમજ આધુનિક ભારતીય કલાના પાયોનિયર ગણવામાં આવે છે.[1]નાની ઉંમરથી જ ચિત્રકામ પ્રત્યે રુચિ ધરાવતા શેરગિલને ૮ વર્ષની ઉંમરથી કલાની ઔપચારીક તાલીમ પ્રાપ્ત થઈ. ૧૯ વર્ષની ઉંમરે યંગ ગર્લ (૧૯૩૨) શીર્ષકથી તૈયાર કરેલ તૈલચિત્રથી કળાના ક્ષેત્રમાં માન્યતા પ્રાપ્ત થઈ.
શેરગિલે જીવનપર્યંત તુર્કી, ફ્રાંસ અને ભારત સહિત વિભિન્ન દેશોની મુલાકાત લીધી અને પોતાની સર્જન શૈલીમાં ઉપનિવેશીય ભારતીય કલાશૈલી તથા તત્કાલીન સંસ્કૃતિની અસરો ઝીલી. તેમને વીસમી સદીના મહત્ત્વપૂર્ણ ચિત્રકાર માનવામાં આવે છે જેમની અસર બંગાળી પુનર્જાગરણ પર જોવા મળે છે.[2]તેઓ વાંચનના શોખીન અને પિયાનો વાદક પણ હતા. શેરગિલના ચિત્રો ભારતીય મહિલા ચિત્રકારોમાં સૌથી મોંઘી કિંમતે વેચાયાં છે.[3][4]
તેમનો જન્મ ૩૦ જાન્યુઆરી૧૯૧૩ના રોજ બુડાપેસ્ટ, (હંગેરી) ખાતે થયો હતો.[5]તેમના પિતા ઉમરાવસિંહ શેરગિલ મજીઠીયા જાટ શીખ ઉમરાવ તથા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. તેમની માતા ઍન્ટોનિએટ ગોટેસ્મૈન ઓપેરા ગાયક હતા જે હંગેરીયન–યહૂદી ઉચ્ચ મધ્યમવર્ગ પરીવારમાંથી આવતા હતા.[6][1]૧૯૧૨માં તેમની માતાના લાહોર પ્રવાસ દરમિયાન તેમના પિતા પહેલી મુલાકાત થઈ.[6]મહારાજા રણજીતસિંહની પૌત્રી રાજકુમારી બામ્બા સુથરલેન્ડ સાથે તેમની માતા પહેલી વાર ભારત આવ્યા.[7][8]
શેરગિલ તેમના બાળપણનો મોટાભાગનો સમય બુડાપેસ્ટમાં જ વીતાવ્યો.[6] તેઓ ઉદ્યોગપતિ એર્વિન બખ્તેની ભત્રીજી હતા. બખ્તેએ ૧૯૨૬માં તેમની શિમલા મુલાકાત દરમિયાન શેરગિલની કલાત્મક પ્રતિભાની નોંધ લીધી[1] અને તેમની યોગ્ય તાલીમની વ્યવસ્થા કરી. શેરગિલ શરૂઆતમાં ઘરના નોકરોનો મોડેલ તરીકે ઉપયોગ કરી ચિત્રો તૈયાર કરતા.[9]
તેમનો પરિવાર હંગેરીમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો આથી ૧૯૨૧માં તેઓ શિમલા (સમર હિલ) સ્થળાંતરીત થયા. અહીં તેમણે પિયાનો અને વાયોલીન શીખવાનું શરૂ કર્યું.[9] માત્ર નવ વર્ષની ઉંમરે પોતાની નાની બહેન ઈન્દિરા સાથે શિમલાના ગેટ્ટી થિએટરમાં નાટકોમાં સંગીત અને અભિનય આપવાનું શરૂ કર્યું.[10] બાળપણથી જ ચિત્રકલામાં પ્રતિભા ધરાવતા શેરગિલની વિધિવત તાલીમ આઠ વર્ષની ઉંમરે શરૂ થઈ. સૌ પ્રથમ તેમણે મેજર વ્હીટમાર્શ અને ત્યારબાદ બેવન પેટમેન દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું. પોતાને નાસ્તિક જાહેર કરવા બદલ શેરગિલને તેમની કોન્વેન્ટ શાળામાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા હતા.[6]
૧૬ વર્ષની ઉંમરે શેરગિલ તેમની માતા સાથે ચિત્રકામના પ્રશિક્ષણ માટે પેરીસ ચાલ્યા ગયા. અહીં તેમણે ફ્રેન્ચ કલા અકાદમી ખાતે પિયરી વેલેન્ટ અને લુશિયન સિમોનના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ મેળવ્યું. ચિત્રસર્જન દરમિયાન તેમને યુરોપીયન ચિત્રકાર પૉલ સેજેન અને પૉલ ગોગુઇનથી પ્રેરણા મળી.[11]
૧૯૩૧માં ટૂંકા ગાળા માટે તેમનો સંબંધ યુસુફ અલી ખાન સાથે રહ્યો આ દરમિયાન તેમના પિતરાઈ ભાઈ અને બાદમાં પતિ વિક્ટર એગન સાથે તેમના સંબંધોની અફવાઓ ફેલાઈ હતી.[12]તેમના પત્રો પરથી તેમના સજાતીય સંબંધો હોવા અંગેનો પણ મત પ્રવર્તે છે.[13]
શેરગિલના શરૂઆતના ચિત્રોમાં પાશ્ચાત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. ૧૯૩૦ના દશકમાં પેરીસના કલા અભ્યાસના પરિણામે યંગ ગર્લ્સ, (૧૯૩૨) દ્વારા સૌ પ્રથમ સફળતા પ્રાપ્ત થઈ. તેમની આ કૃતિએ સુવર્ણપદક સહિત ખૂબ જ વાહવાહી મેળવી તથા ૧૯૩૩માં પેરીસ ગ્રાન્ડ સલૂનમાં સહયોગી તરીકેની પસંદગી માટે કારણભૂત બની.[14][15][16] તેઓ તે સમયના સૌથી યુવા સદસ્ય અને એકમાત્ર એશિયન હતા જેમણે આ સિદ્ધિ મેળવી હતી.[17] આ સમય દરમિયાનના તેમના સર્જનમાં સેલ્ફ પોર્ટ્રેટ (આત્મચિત્ર), પેરીસનું જીવન, નગ્નતા, મિત્રો અને સહયોગી વિદ્યાર્થીઓના ચિત્રોનો સમાવેશ થાય છે.[18] નવી દિલ્હી સ્થિત નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ શેરગિલના સેલ્ફ પોર્ટ્રેટ દ્વારા તેમની અંદરના કલાકારના વિવિધ ભાવજગતને ઉજાગર કરે છે.[18]
૧૯૩૪માં તેઓ ભારત પાછા ફર્યા.[19][4]૧૯૩૫માં શેરગિલની મુલાકાત અંગ્રેજી પત્રકાર મેલ્કમ મુગ્જેરીઝ સાથે થઈ. બાદમાં તેમણે સમાચારપત્ર કલકત્તા સ્ટેટસમેનના સહાયક સંપાદક અને લેખક તરીકે કામ શરૂ કર્યું.[20] ૧૯૩૬માં કલા સમીક્ષક કાર્લ જમશેદ ખંડાલાવાલાથી પ્રેરાઇને તેમણે કલાના ભારતીય મૂળની શોધ માટે પ્રવાસ શરૂ કર્યો.[11] તેમણે ભારતીય કલાની પરંપરાઓની પુનર્શોધ માટેના પ્રયાસો શરૂ કર્યા જે તેમના જીવનપર્યંત ચાલતા રહ્યા. તેઓ મુગલ ચિત્રકલા, પહાડી ચિત્રશૈલી અને અજંતાના ગુફા ચિત્રોથી ખૂબ પ્રભાવિત થયા.
૧૯૩૭માં તેમણે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો. બાદમાં તેમણે બ્રાઇડ્સ ટોઇલેટ, બ્રહ્મચારી, અને બજારમાં જતા દક્ષિણ ભારતીય ગ્રામીણોના ચિત્રો દોર્યા. અજંતાની ગુફાઓની મુલાકાત બાદ તેમણે ભારતીય શાસ્ત્રીય કલા તરફ વળવાનો પ્રયાસ કર્યો. આ ચિત્રો તેમના રંગોની ભાવુકતા અને ભારતીય વિષયો પ્રત્યે એમની સહાનુભૂતિ પ્રગટ કરે છે.[21] અહીંથી તેમના ચિત્રોમાં પરિવર્તન જોવા મળે છે. તેમણે પોતાના 'કલાત્મક મિશન' દ્વારા કેનવાસના માધ્યમથી ભારતીય લોકજીવનને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો.[22] શેરગિલનો ભારત પ્રવાસ તેમના કલાત્મક વિકાસના એક નવા અધ્યાયની શરૂઆતનો પ્રતિક છે જે આંતરયુદ્ધ દરમિયાનના યુરોપીય અધ્યાયથી તદ્દન ભિન્ન છે.[23]
શેરગિલે ૨૫ વર્ષની ઉંમરે તેમના પિતરાઇ ડૉ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યા.[6]લગ્ન બાદ શેરગિલ દંપતિ ભારત આવી ગયું જ્યાં તેઓ સરાયા, સરદારનગર (ગોરખપુર, ઉત્તર પ્રદેશ) ખાતેના તેમના પૈતૃક મકાનમાં નિવાસ કરતા હતા. અહીંથી તેમની ચિત્રકલાનું બીજું ચરણ શરૂ થયું જે રવિન્દ્રનાથ ટાગોર અને જેમીની રોયની સમકક્ષ ભારતીય કલાને પ્રભાવિત કરે છે. અમૃતાની કલા બંગાલ સ્કૂલ ઓફ પેઇન્ટીંગના બે ટાગોર, રવિન્દ્રનાથ અને અવનીનન્દ્રનાથથી પ્રભાવિત છે. શેરગિલના મહિલા ચિત્રો રવિન્દ્રનાથથી પ્રભાવિત છે જ્યારે ચમકીલા રંગોનો ઉપયોગ તથા ચિઆરોસ્કૂરો તકનિક (પ્રકાશ અને અંધકાર વચ્ચેના મજબૂત વિરોધાભાસનો ઉપયોગ) અવનીન્દ્રનાથની અસર દર્શાવે છે.[24]
સરાયા ખાતેના નિવાસ દરમિયાન તેમણે વિલેજ સીન, ઇન ધ લેડીઝ ઇન્ક્લોઝર અને સીએસ્ટા જેવા ચિત્રો દોર્યા જે ભારતીય ગ્રામ્યજીવનની હળવાશને દર્શાવે છે. ઇન ધ લેડીઝ ઇન્ક્લોઝર અને સીએસ્ટા તેમની લઘુચિત્ર શૈલીના પ્રભાવને દર્શાવે છે જ્યારે વિલેજ સીન પહાડી ચિત્રશૈલીની અસરો દર્શાવે છે.[25]
તેમનો પરિવાર બ્રિટીશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો પરંતુ અમૃતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. તેઓ ગરીબો, વંચિતો અને પીડિતો તરફ આકર્ષાયા હતા. ભારતીય ગ્રામીણો અને મહિલાઓના ચિત્રો તેમની મન:સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. તેઓ મહાત્મા ગાંધીના દર્શન અને જીવનશૈલીથી પણ પ્રભાવિત હતા. જવાહરલાલ નહેરુ શેરગિલની સુંદરતા અને પ્રતિભા પ્રત્યે મુગ્ધ હતા. નહેરૂએ ૧૯૩૭માં તેમના ચિત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ઉપરાંત ઓક્ટોબર ૧૯૪૦માં તેમના ગોરખપુર પ્રવાસ દરમિયાન સરાયા ખાતે શેરગિલ સાથે મુલાકાત પણ કરી હતી. શેરગિલ અને નહેરૂ વચ્ચે પત્રવ્યવહાર પણ હતો પરંતુ આ પત્રો શેરગિલના માતાપિતા દ્વારા બાળી નાખવામાં આવ્યા હતા.[26]
૧૯૪૧માં શેરગિલ તેમના પતિ સાથે લાહોર સ્થળાંતરીત થયાં. અમૃતા પુરુષો અને સ્ત્રીઓ સાથેના તેમના સંબંધો માટે પણ ચર્ચામાં રહ્યા.[19] તેમનું ચિત્ર ટુ વુમેન તેમનું અને તેમની પ્રેમી મેરી લુઇસનું હોવાનું મનાય છે. [27] લાહોરમાં તેમના ચિત્રોના એકલ પ્રદર્શનના એક દિવસ પહેલાં તેઓ ગંભીર રીતે બિમાર પડ્યા અને કોમામાં ચાલ્યા ગયા.[19][28][29] ૫ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ તેઓ મૃત્યુ પામ્યા.[30] ૭ ડિસેમ્બરે તેમને લાહોરમાં દફન કરવામાં આવ્યા.[31]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.