![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Kutch_in_Gujarat_%2528India%2529.svg/langgu-640px-Kutch_in_Gujarat_%2528India%2529.svg.png&w=640&q=50)
કચ્છનો ઇતિહાસ
From Wikipedia, the free encyclopedia
ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદર (એલેક્ઝાન્ડર) ના કાળ દરમ્યાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. આ ક્ષેત્ર પર ગ્રેકો-બેક્ટ્રીઅન રાજા મિલિંદનું (મેનાન્દર - ૧) રાજ હતું. ઈંડો-સિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો અને ત્યાર બાદ આ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું. ઈ.સ.ની પ્રથમ સદીમાં, આ ક્ષેત્ર પશ્ચિમી સત્રપો અને ત્યાર બાદ ગુપ્ત સામ્રાજ્યના નેજા હેઠળ આવ્યું. પાંચમી સદીમાં કચ્છ વલ્લભીના મૈત્રકવંશના તાબામાં ગયું અને ત્યારથી ગુજરાતના શાસક કુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો. સાતમી સદીના કાળમાં કચ્છના પૂર્વી અને મધ્ય ક્ષેત્ર પર ચાવડાઓની સત્તા હતી. દસમી સદી દરમ્યાના આ ક્ષેત્ર સોલંકીઓના તાબામાં આવ્યું. સોલંકીઓના પતન પછી વાઘેલા અહીંના શાસક બન્યા. મુસલમાન રાજાઓએ સિંધ જીતી લેતા, સમા રજપૂતો દક્ષિણ તરફ કચ્છમાં ગયા અને શરૂઆતમાં કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ્ય કર્યુ. દસમી સદી સુધી તેઓએ કચ્છના ઘણા મોટા ભાગ પર કબ્જો કર્યો અને તેરમી સદી સુધી આખા કચ્છ પર તેમની સત્તા પથરાઈ ગઈ અને આ સાથે તેમણે જાડેજા એવું નવું કુળ નામ અપનાવ્યું.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Kutch_in_Gujarat_%28India%29.svg/640px-Kutch_in_Gujarat_%28India%29.svg.png)
ઈ.સ. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કચ્છ ભારત સાથે જોડાયું. અને તેને ભારતના સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. ૧૯૫૦માં તેને ભારતના સંઘરાજ્યના એક રાજ્યનો દરજ્જો મળ્યો. ઈ.સ. ૧૯૫૬માં ફરી કચ્છે એક વિનાશક ભૂકંપનો સામનો કર્યો. ૧ નવેમ્બર ૧૯૫૬ના દિવસે કચ્છને મુંબઈ રાજ્યમાં વિલિન કરી દેવામાં આવ્યું. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગ થયા અને કચ્છ, ગુજરાતના એક જિલ્લા તરીકે ગુજરાતનું અંગ બન્યું. ઈ.સ. ૧૯૯૮ માં કચ્છમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત (વાવાઝોડું) આવ્યું અને ૨૦૦૧માં વિનાશક ધરતીકંપ થયો. ત્યાર પછીના કાળમાં અહીં ઝડપી ઔધ્યોગિકરણ અને પર્યટનનો વિકાસ થયો છે.