From Wikipedia, the free encyclopedia
બાબુ વીર કુંવર સિંહ (૧૭૭૭ - ૨૬ એપ્રિલ ૧૮૫૮) અથવા બાબુ કુંવર સિંહ અથવા કુંવર સિંહ એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક નેતા હતા. તેઓ જગદીશપુરના પરમાર રાજપૂતોના ઉજ્જૈનિયા કુળના એક રજપૂત જમીનદાર હતા, જે હાલમાં બિહારના ભોજપુર જિલ્લામાં આવે છે. ૮૦ વર્ષની ઉંમરે, તેમણે બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીની વિરુદ્ધ સશસ્ત્ર સૈનિકોના દળનું નેતૃત્વ કર્યું. તે બિહારમાં અંગ્રેજો સામેની લડતના મુખ્ય આયોજક હતા. તેઓ વીર કુંવર સિંહ તરીકે જાણીતા છે.[2]
કુંવરસિંહનો જન્મ નવેમ્બર ૧૭૭૭ માં બિહાર રાજ્યના શાહબાદ (હાલ ભોજપુર) જિલ્લાના જગદીશપુરમાં મહારાજા શાહાબઝાદા સિંહ અને મહારાણી પંચરતન દેવીને ઘેર થયો હતો. તેઓ ઉજ્જૈનીયા રાજપૂત કુળના જમીનદાર હતા. [3] એક બ્રિટીશ ન્યાયિક અધિકારીએ કુંવરસિંહનું વર્ણન રજૂ કરતા તેમને "એક ઉંચો માણસ, આશરે છ ફૂટ ઊંચાઈ" ધરાવતો ગણાવ્યો હતો. [4] આગળ વર્ણન કરતા તેમણે કહ્યું હતું તેઓ ચાંચ જેવું નાક અને પહોળો ચહેરો ધરાવતા હતા. તેના શોખની દ્રષ્ટિએ, બ્રિટિશ અધિકારીઓએ તેમને શિકારના અને ઘોડે સવારીના શોખીન ગણાવ્યા હતા.
ઈ.સ. ૧૮૨૬ માં તેમના પિતાના અવસાન પછી કુંવરસિંહ જગદીશપુરના તાલુકોદાર બન્યા. તેમના ભાઈઓને પણ કેટલાક ગામ વારસાગત મળ્યા હતા, જોકે તેમની ચોક્કસ ફાળવણી અંગે વિવાદ ઉભો થયો હતો. આ વિવાદનું આખરે સમાધાન થયું અને ભાઇઓ વચ્ચે સંવાદિતાપૂર્ણ સંબંધો સ્થપાયા.[4]
તેમણે સિસોદીયા કુળના ગયા જિલ્લાના દેવ-મુંગાના રાજા ફતેહ નારાયણ સિંહ નામના શ્રીમંત જમીનદારની પુત્રી સાથે લગ્ન કર્યા.[5]
સિંહે બિહારમાં ૧૮૫૭ની ભારતીય ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે તેમને હથિયાર ઉપાડવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ લગભગ એંસી વર્ષના હતા અને તેમની તબિયત લથડતી હતી. તેમના ભાઇ બાબુ અમર સિંહ અને તેમના સેનાપતિ હરે કૃષ્ણ સિંહ બંને તેમને મદદ કરતા હતા. કેટલાક દલીલ કરે છે કે કુંવરસિંહની પ્રારંભિક લશ્કરી સફળતા પાછળનું કારણ પાછળ હરે કૃષ્ણ સિંહ હતા.[7] તેમણે અંગ્રેજો સામે સારી લડત આપી અને લગભગ એક વર્ષ સુધી બ્રિટીશ સૈન્યને હંફાવ્યું અને અંત સુધી અજેય રહ્યા. તેઓ ગેરિલા યુદ્ધની કળામાં નિષ્ણાત હતા. તેમની રણનીતિથી અંગ્રેજો મૂંઝાઈ ગયા હતા.[8]
સિંહે ૨૫ જુલાઈએ દાનાપુર ખાતે બળવો કરી રહેલા સૈનિકોની કમાન સંભાળી હતી. બે દિવસ પછી તેમણે જિલ્લા મથક આરા પર કબજો કર્યો. મેજર વિન્સેન્ટ આયરે ૩ ઑગસ્ટે આ શહેર પર હુમલો કરી સિંહની સેનાને હરાવી અને જગદીશપુરનો નાશ કર્યો. ક્રાંતિ દરમિયાન, તેની સેનાને ગંગા નદી પાર કરવી પડી હતી ત્યારે ડગ્લાસની સેનાએ તેમની હોડીઓ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું. તેમાંની એક ગોળીએ સિંહના ડાબી કાંડામાં વાગી હતી. સિંહને લાગ્યું કે તેમનો હાથ નકામો થઈ ગયો છે અને ગોળીના કારણે ચેપ લાગવાનું વધારાનું જોખમ છે આથી તેમણે તલવાર કાઢી અને કોણી પાસે તેમનો ડાબો હાથ કાપીને ગંગાને અર્પણ કર્યો. [8] [9]
સિંહે પોતાનું વતન છોડ્યું અને ડિસેમ્બર ઈ.સ. ૧૮૫૭માં લખનૌ પહોંચ્યા જ્યાં તેમણે અન્ય કાંતિકારી નેતાઓ સાથે મુલાકાત કરી. માર્ચ ૧૮૫૮ માં તેણે આઝમગઢ પર કબજો કર્યો અને આ વિસ્તારને ફરી હસ્તગત કરવાના પ્રારંભિક બ્રિટિશ પ્રયત્નોને કાબૂમાં રાખ્યો. [10] જો કે, તેમને જલ્દી જ તે સ્થળ છોડવું પડ્યું હતું. બ્રિગેડિયર ડગ્લાસનો પીછો ખાળીને તે બિહારના આરામાં પોતાના ઘર તરફ પાછા ગયા. ૨૩ એપ્રિલના દિવસે, કેપ્ટન લે ગ્રાન્ડની આગેવાની હેઠળના સૈન્ય પર સિંહે જગદીશપુર નજીક વિજય મેળવ્યો હતો. ૨૬ એપ્રિલ ૧૮૫૮ ના દિવસે તેમના ગામમાં તેમનું અવસાન થયું. ત્યાર બાદ સંઘર્ષની જવાબદારી તેના ભાઈ અમરસિંહ બીજા પર પર પડી, જેણે ભારે તકલીફો છતાં સંઘર્ષ ચાલુ રાખ્યો અને ઘણા સમય સુધી શાહાબાદ જિલ્લામાં સમાંતર સરકાર ચલાવી. ઑક્ટોબર ૧૮૫૯માં, અમર સિંહ બીજાએ નેપાળ તેરાઇમાં ક્રાંતિકારી નેતાઓ સાથે હાથ મિલાવ્યા.[9]
તેમણે તેમની છેલ્લી લડાઇમાં, જગદીશપુર નજીક ૨૩ એપ્રિલ ૧૮૫૮ના દિવસે લડી અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નિયંત્રણ હેઠળના સૈન્યનો સંપૂર્ણ ધ્વંસ થઈ ગયો હતો. ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઇજાગ્રસ્ત થવા છતાં તેઓ અંગ્રેજ સૈન્ય સામે બહાદુરીથી લડ્યા અને તેમની સેનાની મદદથી તેમણે અંગ્રેજ સેનાને હાંકી કાઢી, યુનિયન જેકને જગદીશપુર કિલ્લાથી નીચે લાવ્યો અને તેમનો પોતાનો ધ્વજ ફરકાવ્યો. તે ૨૩ એપ્રિલ ૧૮૫૮ ના દિવસે તેઓ પોતાના મહેલમાં પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ, ૨૬ એપ્રિલ ૧૮૫૮ ના દિવસે તેમનું અવસાન થયું.[8]
તેમની યાદમાં અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનનું સન્માન કરવા માટે, ભારત સરકારે ૨૩ એપ્રિલ ૧૯૬૬ના દિવસે યાદગીરી સ્ટેમ્પ પ્રકાશિત કરી.[11] તેમના નામ પર, બિહાર સરકારે ૧૯૯૨માં વીર કુંવરસિંહ વિશ્વવિદ્યાલય, આરાની સ્થાપના કરી. [12]
ઈ.સ. ૨૦૧૭ માં, વીર કુંવરસિંહ સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને આરા-છપરા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પુલ ઉત્તર અને દક્ષિણ બિહારને જોડે છે.[13] ઈ.સ. ૨૦૧૮ માં, કુંવરસિંહની શહીદીની ૧૬૦ મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, બિહાર સરકારે કુંવરસિંહની પ્રતિમાને હાર્ડિંજ પાર્કમાં સ્થળાંતરિત કરી. આ પાર્કનું નામ પણ વીર કુંવરસિંહ આઝાદી પાર્ક રાખવામાં આવ્યું છે. [14]
ઈ.સ. ૧૯૭૦માં નક્સલી બળવાખોરો સામે લડવા માટે બિહારમાં રાજપૂત યુવાનોએ કુંવર સેના (કુંવરની સેના) તરીકે ઓળખાતી જમીનદારોના એક ખાનગી લશ્કરી જૂથની રચના કરી હતી. તેનું નામ કુંવર સિંહના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું.[15]
વિજય કી વેલા (વિજયની ક્ષણ) નામનું જગદીશચંદ્ર માથુરનું એક નાટક કુંવરસિંહના જીવનના ઉત્તરાર્ધ પર આધારિત છે. સુભદ્રા કુમારી ચૌહાણની "ઝાંસી કી રાણી " કવિતામાં પણ તેમનો ઉલ્લેખ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.