પ્રાચીન ભારતના બે મહાકાવ્યોમાંનું એક From Wikipedia, the free encyclopedia
મહાભારત એ ઋષિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશ બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચે થયેલા ધર્મ અને અધર્મના યુધ્ધની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં ફેેેેેરવાઈ જાય છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમા અવતાર ભગવાન વાસુદેવ કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા (અર્થ: ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી, તેથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.
મહાભારત | |
---|---|
કુરુક્ષેત્ર યુદ્ધનાં ચિત્રની હસ્તપ્રત | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | વેદવ્યાસ |
ભાષા | સંસ્કૃત |
શ્લોકો | ૧,૦૦,૦૦૦ |
સૂર્ય સિદ્ધાન્ત ગ્રંથ પ્રમાણે કળિયુગના આરંભ ઇ.સ. પૂર્વ ૩૧૦૨, ૧૮ ફેબ્રુઆરીએ અડધી રાત્રે (00:00) થયો હતો.[1] કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું.[2] એટલે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું, એવી માન્યતા છે.
મહાભારતનો સમય આર્યભટ્ટના આર્યભાટ્ટીયામ પ્રમાણે[3]
षष्ट्यव्दानां षष्टिर्यदा व्यतीतास्त्रयश्च युगपादा:।
त्र्यधीका विंशतिरव्दास्तदेह मम जन्मनोडतीता:।
"અત્યાર સુધી ત્રણ યુગ ચાલ્યા ગયા છે અને હાલમાં કળિયુગ ચાલુ છે. અત્યારે કળિયુગનું ૩૬૦૦મુ વર્ષ ચાલુ છે અને હું અત્યારે ૨૩ વર્ષનો છું." આર્યભટ્ટનો જન્મ ઇ. સ. ૪૭૬માં થયો હતો. એટલે ૩૬૦૧ (૧ વર્ષ ચાલુ) - (૪૭૬ + ૨૩)= ઇ. સ. પૂર્વ. ૩૧૦૨. કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું.[2] એટલે કે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું.
સ્વયં વ્યાસજી આ ગ્રંથ માટે એમ લખે છે કે,
યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્
એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઈ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ 'મહાભારત' તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: "જે (વાત) અહીં (મહાભારતમાં) છે તે તમને સંસારમાં કોઈને કોઈ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે."
મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણો વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.
કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલાં એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઈ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મૂક્યા છે. આ શ્લોક સમજતાં-લખતાં ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.
આ મહાકાવ્યની શરૂઆત એક નાની રચના 'જયગ્રંથ'થી થઈ છે. જો કે તેની કોઈ નિશ્ચિત તિથિ ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથિ નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં મતભેદો છે.
આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુંં વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધના સમય પહેલાંં ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.[4]
શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફથી લડતો હતો તેને રામાયણના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઈ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.
આર્યભટ્ટના મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વેમાં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઈ.
મોટાભાગના પૌરાણિક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઈ)ના વિકાસ થયા પહેલાંં તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.
મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુરના રાજ્ય માટે બે વંશજો - કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુનો વિસ્તાર આજના ગંગાથી ઉત્તર-યમુનાની આસપાસનો દોઆબના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુવંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઈમાં સત્યની હાનિ થઈ હતી. કળિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.
મહાભારતની કથામાં એકસાથે ઘણી બધી કથાઓ વણાયેલી છે, જેમાંની મુખ્ય કથાઓ નીચે મુજબ છે:
કર્ણની કથા: કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિરનો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલાંં તેને મળેલાં વરદાનની પરખ કરવાં સૂર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમાંં મૂકી નદીમાંં તરતો મૂકી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીકે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો જેને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલા કોઈ પણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નહીં, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી[સંદર્ભ આપો]) કપટથી ભિક્ષુક બની તેના કવચ અને કુંડળ દાનમાં માગી લીધા હતા નહિંતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને હરાવવો ઘણું અઘરું થઈ પડ્યું હોત.
ભીષ્મની કથા: જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુંં હતું, કારણકે, તેમના પિતા શંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.
ભીમની કથા: જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામીભક્તિના કારણે ઓળખાતા હતા.
યુધિષ્ઠિરની કથા: યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યા નહોતા અને માત્ર એક જ વખત કૃષ્ણના કારણે તેમણે જુઠ્ઠું બોલવું પડ્યું હતું.
ભારત દેશના સ્થાપક ભરતના વંશજ શંતનુ હસ્તિનાપુરમાં રાજ કરતા હોય છે અને તેમને ગંગાથી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતાંં શંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.
ત્યારબાદ શંતનુ માછીમારની કન્યા સત્યવતીને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસેથી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલીન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્યમાં રાજ્યનો હિસ્સો માંગે નહીંં આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.
સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞાથી બંધાયેલ ભીષ્મ તેની સાથે લગ્ન કરી શકતા નથી.
ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.
સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબિકા, અંબાલિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબાલિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતાંં અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુરનો રાજા બને છે.
પાંડુને બે પત્ની હતી - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન)ના રાજાની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.
કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઈ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલાંં સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.
પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યુ પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.
હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુઃશાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.
આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપગ્રંથ હરિવંશ પણ છે જેને મહાભારતની પૂરવણી ગણવામાં આવે છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે.
મહાભારતના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકેનો દરજ્જો પામેલા છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:
કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રહ્માંડને લગતી ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શીખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.
૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજૂઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯માં પહેલી વાર એના પર ફિલ્મ બની જે પીટર બ્રુકે બનાવી હતી.
કુરુક | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગંગા | શંતનુક | સત્યવતી | પરાશર | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભીષ્મ | ચિત્રાંગદ | અંબિકા | વિચિત્રવિર્ય | અંબાલિકા | વ્યાસ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ધૃતરાષ્ટ્રખ | ગાંધારી | શકુની | કુંતી | પાંડુખ | માદ્રી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કર્ણગ | યુધિષ્ઠિરઘ | ભીમઘ | અર્જુનઘ | સુભદ્રા | નકુલઘ | સહદેવઘ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દુર્યોધનચ | દુશલા | દુશાસન | (અન્ય ૯૮ પુત્રો) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અભિમન્યુ | ઉત્તરા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પરિક્ષિત | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જનમેજય | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સંજ્ઞાસૂચિ
નોંધ
ઇંડોનેશિયા અને અન્ય દેશોમાં પણ મહાભારતનુ સ્થાનિક સંસ્કરણ છે. ઇંડોનેશિયામાં આ કાવી ભાષામાં છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.