હિંદુ ધર્મનું મહત્વનું સ્થળ From Wikipedia, the free encyclopedia
રામસેતુ (તમિલ: இராமர் பாலம், ஆதாம் பாலம், સંસ્કૃત/હિંદી: रामसेतु, મલયાલમ: രാമസേതു, અંગ્રેજી: Adam's Bridge) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાનાં રામેશ્વરમ (પંબન ટાપુ)ના દરિયા કિનારેથી શરૂ થતી સમુદ્રનાં છીછરા તટમાં પથરાયેલી ચૂનાના પથ્થરની શૃંખલા છે, જે બીજે છેડે શ્રીલંકાનાં વાયવ્ય તટ પર આવેલા મન્નાર દ્વીપ સુધી પ્રસરેલી છે. આ ખડક શૃંખલા હિંદુ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. હિંદુ ધર્મના મહત્વના ગ્રંથ રામાયણમાં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એમાં દર્શાવ્યા પ્રમાણે રામસેતુનું નિર્માણ ભગવાન રામની વાનરસેનાએ રાજા રાવણની લંકા પર ચઢાઇ કરવા માટે પથ્થરો વડે કર્યું હતું અને આ સેતુ પરથી રામસેના લંકામાં પહોંચી હતી. ભૂસ્તરશાસ્ત્રીય પુરાવાઓ પરથી એમ ફલિત થાય છે કે આ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચેનું ભૂતપૂર્વ ભૂમિ જોડાણ છે.[1]
રામસેતુ ૩૦ કિમી (૧૮ માઇલ) લાંબો છે [2] અને મન્નારની ખાડીને 'પાક સ્ટ્રેટ'થી અલગ પાડે છે. આખા વિસ્તારમાં કેટલીક જગ્યાએ રેતાળ પટ એકદમ કોરો છે અને ઘણી જગ્યારે દરિયો ઘણો છીછરો છે, ઊંડાણ ફક્ત ૩થી ૩૦ ફીટ (૧થી ૧૦ મીટર) જેટલું જ છે જેને કારણે વહાણવટું લગભગ અશક્ય બને છે.[1][3][4] અમુક અહેવાલો મુજબ લગભગ ૧૫મી સદી સુધી ખાડીનો આ ભાગ પગે ચાલીને આ સેતુ પરથી પાર કરી શકાય તેમ હતો. ત્યારબાદ સમયાંતરે આવેલા સમુદ્રી તોફાનોને કારને ખાડીની ઉંડાઈ વધી ગઈ: મંદિરની નોંધો અનુસાર ૧૪૮૦માં આવેલા ચક્રવાતમાં તુટતા પહેલા સુધી રામસેતુ સંપૂર્ણ પણે દરિયાની સપાટીથી ઉપર હતો.[5]
આજે અંગ્રેજીમાં પ્રચલિત નામ 'એડમ્સ બ્રિજ' ધરાવતો આ વિસ્તારનો સૌ પ્રથમ નક્શો બ્રિટિશ માનચિત્રકાર (નક્શા બનાવનાર) દ્વારા ૧૮૦૪માં બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તારને આવું નામ આપવા પાછળનું સંભવતઃ કારણ ઇસ્લામ ધર્મની એક કથાને માનવામાં આવે છે, જેમાં આદમે (અંગ્રેજી:એડમ) આ પુલનો ઉપયોગ શ્રીલંકામાં આવેલી આદમની ટોચ પર પહોંચવા માટે કર્યો હતો જ્યાં તે પ્રશ્વાતાપ રૂપે ૧૦૦૦ વર્ષ સુધી એક પગે ઉભો રહ્યો હતો. આ કારણે ત્યાં હજુ આજે પણ પગલાની છાપ પડેલી જોવા મળે છે. આ ટોચ અને સેતુ બંનેનું નામ આ કથા પરથી પાડવામાં આવ્યું છે.[1][6][7]
પુલનો સૌપ્રથમ ઉલ્લેખ વાલ્મિકી કૃત સંસ્કૃત રામાયણમાં જોવા મળે છે.[6] પાશ્ચાત્ય જગતને તેની પહેલવહેલી જાણ ઇબ્ન ખોરદાદબેહના ૯મી સદીમાં લખેલા ઐતિહાસિક પુસ્તક બુક ઓફ રોડ્સ એન્ડ કિંગડમ્સ (Book of Roads and Kingdoms) (ઇસ. ૮૫૦ની આસપાસ) દ્વારા થઈ, જેમાં તેણે તેનો ઉલ્લેખ સેત બંધાઈ એટલેકે 'સમુદ્રનો પુલ' તરિકે કર્યો હતો.[8] પાછળથી આલ્બેરૂનીએ પણ તેનું વર્ણન કર્યુ હતું.
રામેશ્વરમ પાસેના સમુદ્રના આ છીછરા પટને રામસેતુ નામ આપવા પાછળ તેના સંસ્કૃત ગ્રંથ રામાયણમાં થયેલા ઉલ્લેખને માનવામાં આવે છે, જેમાં હિંદુ ધર્મના ભગવાન રામને રાવણની નગરી લંકા સુધી પહોંચડવા માટે તેમની વાનરસેનાએ આ પુલ બાંધ્યો હતો તેવું વર્ણન આપેલું છે.[6]
ભારત અને શ્રીલંકાને અલગ પાડતા સમુદ્રને સેતુસમુદ્રમ્ તરિકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે પુલનો સમુદ્ર. તાંજોર સરસ્વતિ મહલ પુસ્તકાલયમાં સંગ્રહવામાં આવેલાં, ડચ માનચિત્રકારે ૧૭૪૭માં બનવેલા નક્શાઓમાં આ વિસ્તારનો રામનકોઇલ તરિકે ઉલ્લેખ જોવા મળે છે. રામનકોઇલ શબ્દ તમિલ ભાષાનાં શબ્દો રામન કોવિલ (એટલેકે રામનું મંદિર) પરથી ઉતરી આવેલો છે.[9] આ જ પુસ્તકાલયમાંથી મળેલો અન્ય એક નક્શો કે જે ૧૭૮૮માં મુઘલ શાસનકાળ દરમ્યાન જે. રેનેલ દ્વારા બનાવવામાં આવ્યો હતો, તેમાં પણ આ સ્થળનું નામ 'રામ મંદિરનો વિસ્તાર' જ દર્શાવવામાં આવ્યું છે.[10] શ્વાર્ટ્ઝબર્ગની ઐતિહાસિક નક્શાપોથી[11][12]નાં અનેક નક્શાઓ અને અન્ય સ્ત્રોતોમાં આ વિસ્તારને વિવિધ નામોથી ઉલ્લેખવામાં આવ્યો છે, જેમકે કોટી, સેતુબંધ અને સેતુબંધ રામેશ્વરમ તથા અન્ય.[13][14][15][16] વાલ્મીકિ કૃત રામાયણનાં યુદ્ધકાંડનાં દ્વિતિય અધ્યાયના ૭૬માં શ્લોકમાં (૬-૨૨-૭૬) આ પુલના બાંધકામને ભગવાન રામચંદ્ર સાથે જોડવામાં આવેલું છે. [17]
રામસેતૂ એ ટાપુ સમુહની હાર છે જે ભારતના પમબન ટાપુની ધનુશ કોડી આમના છેડેથી શરુ થઈ શ્રીલંકાના મનાર ટાપુ પર પૂર્ણ થાય છે . પમબન ટાપુ એ ભારત ભૂમિ સાથે બે કિમી લાંબા એક પુલ થી જોડાયેલો છે. મનાર ટાપુ શ્રીલંકાની ભૂમિ સાથે એક માર્ગિકાથી જોડાયેલો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની સરહદ એક નાનકડા ટાપુ પરથી પસાર થાય છે જે વિશ્વની સૌથી નાની સરહદનું નિર્માણ કરે છે. રામ સેતો અને નજિકના ક્ષેત્રો જેમકે રામેશ્વરમ, ધનુષકોડી, દેવીપટ્ટીનમ અને થીરુપુલાની આદિ નું રામાયણમાં વિવિધ સ્થળે ઉલ્લેખ આવે છે.[18][19] સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન.
પમ્બન ટાપુ પર એક નાનકડું બંદર રામેશ્વરમ આવેલું છે. આ ટાપુ ભારત ભૂમિથી ૨ કિમી દૂર છે
પમ્બન પુલ નામનો પુલ પમ્બન ટાપુ અને ભારત મુખ્ય ભૂમિને જોડે છે. આનો ઉપયોગ ખુલી શકતો રેલ્વે પુલ અને રસ્તા પુલ ના સંદર્ભમાં થાય છે. નાની હોડીઓ ૨૦૬૫મી લાંબા રસ્તા પુલ ની નીચે પસાર થઈ શકે છે અને રેલ્વે પુલ ફાટક માફક ખુલી શકે છે.
પમ્બન સમુદ્રધુનીના છીછરા પાણી ને કારણે મોટી નૌકાઓનું આવાગમન માં કઠિનાઈ આવે છે આ સમુદ્રધુનીમાં ઉત્ખનન કાર્યનો ખર્ચ રામસેતૂ ક્ષેત્રમાંના ઉત્ખનન કરતાં ઘણો વધુ છે કેમકે રામસેતૂ ક્ષેત્રમાં પાની ઊંડું છે અને તેને કારણે ઓછી માટી કાઢવી પડે. આથી ૨૦૦૧ના ખર્ચે ભારત સરકારે પાલ્ક ની સમુદ્રધુની માં પસાર થતી સેતુસમુદ્ર નામની યોજના ઘડી જેની અનુસાર મોટા વહાણોમાટે એક નહેર બનાવવાની યોજના હતી જે રામ સેતુને છેદતી પસાર થાય છે. ઘણાં સંગઠનોએ ધાર્મિક પર્યાવરણ અને આર્થિક મુદ્દે આનો વિરોધ કર્યો અને પહેલાંની ચર્ચામાં જે પથ સૂચવાયો હતો તેને અનુસરવાની માંગણી કરી હતી.
ભારતના ધનુષકોટી અને શ્રીલંકાના તલઈમનાર ને એક નૌકા સેવા દ્વારા જોડાઈ છે. આ સેવા બ્રિટિશ રાજ દરમ્યાન કાર્ય રત ઈંડો-સિલોન રેલ્વે સેવાનો ભાગ હતી. તે સમયે ચેન્નઈથી કોલંબો સુધીની રેલ્વે ટિકિટ મળતી. જેના દ્વારા ચેન્નઈ થી પમ્બન ટાપુ સુધી રેલ્વે દ્વારા ત્યાંથી તલઈ મનાર સુધી નૌકા વિહાર અને ત્યાંથી કોલંબો સુધી રેલ્વે. ૧૯૬૪ના તોફાનમાં ધનુષકોડી સંપૂર્ણ નાશ પામ્યું જેમાં સ્ટેશનમાં આવતી ટ્રેન, પાટા અને પાયા નાશ પામ્યાં અને પાલ્ક સમુદ્રધુની અને અખાતને લ્હૂબ નુકશાન થયુઁ .[20] ધનુષકોટીનું પુનઃ નિર્માણ ન કરાયું અને ટ્રેન સેવા રામેશ્વર પાસે પુરી થાય છે. ત્યાંથી તલઈ મનાર સુધી નૌકા સેવા ૧૯૮૨ સુધી કાર્યરત હતી. પણ શ્રીલંકાની સેના અને એલ.ટી.ટી.ઇ. ના યુદ્ધને ચાલતા તે સેવા બંધ કરાઈ.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.