સભાપર્વ
From Wikipedia, the free encyclopedia
સભા પર્વ મહાભારતના અઢાર પર્વ પૈકીનું બીજું પર્વ છે. તેને સભામંડપ પર્વ પણ કહેવાય છે.[1] સભા પર્વ પરંપરાગત રીતે ૧૦ ઉપપર્વો અને ૮૧ પ્રકરણોમાં વિભાજીત છે.[2] [3] [4] [5]
સભા પર્વની શરૂઆત ઇન્દ્રપ્રસ્થ ખાતે મય (મયાસુર) દ્વારા બાંધવામાં આવેલ મહેલ અને સભામંડપના વર્ણનથી થાય છે. પુસ્તકનું પ્રકરણ ૫ રાજ્ય અને તેના નાગરિકો સમૃદ્ધ, સદાચારી અને સુખી બનવા માટે જરૂરી શાસન અને વહીવટના સોથી વધુ સિદ્ધાંતોની રૂપરેખા આપે છે. પર્વના મધ્ય ભાગ દરબારમાં જીવનનું વર્ણન કરે છે, આ જ પર્વમાં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનું વર્ણન છે. છેલ્લા બે ભાગ સદાચારી રાજા યુધિષ્ઠિરના એક દુર્ગુણ અને વ્યસનનું વર્ણન કરે છે - જુગાર.[6] શકુની યુધિષ્ઠિરની મજાક ઉડાવે છે અને તેને પાસાની રમતમાં લલચાવે છે. યુધિષ્ઠિર રમતનું ઇજન સ્વીકારે છે અને એક પછી એક બધું હારતા જાય છે. તે પોતાનું રાજ્ય, ભાઈ, પોતાની જાત અને રમતની પરાકાષ્ઠામાં પોતાની પત્ની દ્રૌપદીનો પણ દાવ પર લગાવીને હારી જાય છે. છેલ્લા દાવમાં તો પોતે ભાઈઓ અને દ્રૌપદી સહિત બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાની શરત સાથે એક દાવ રમે છે, તે પણ હારી જતાં આખરે વનવાસ ભોગવો છે. [3] [7]
આ પર્વમાં માનવતા વિરુદ્ધ દુષ્ટતા અને અપરાધના સિદ્ધાંતની પણ વિગતો આપવામાં આવી છે, જ્યારે સમાજ મોટા પ્રમાણમાં વ્યવસ્થિત ગુના અને અન્યાયનો ભોગ બને છે ત્યારે જે વ્યક્તિઓને પોતાને નુકસાન ન થયું હોય તેઓએ શા માટે કાર્ય કરવું જોઈએ - આ સિદ્ધાંત મગધની વાર્તા, પ્રકરણ ૨૦ થી ૨૪માં વર્ણવેલી મગધની કથા પરથી તારવવામાં આવ્યો છે. મગધમાં જ કૃષ્ણ, અર્જુન અને ભીમની ત્રિપુટીએ જરાસંધનો વધ કર્યો હતો.[3] [8]