From Wikipedia, the free encyclopedia
|} હુ જિન્તાઓ (પિનયિન: Hú Jǐntāo, ઉચ્ચાર [xǔ tɕìntʰáu]; 21 ડિસેમ્બર 1942ના તાઈઝોયૂ, જિઆંગસુમાં જન્મ) એ પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના વર્તમાન સર્વોપરી નેતા છે. તેઓ અનેક પદો પર રહ્યા છે, જેમ કે 2002થી તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના મુખ્ય સચિવ, 2003થી પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના પ્રમુખ, અને 2004થી સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ રહ્યા છે અને વધુમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના ચોથી પેઢીના નેતૃત્વ સાથે ટોચના નેતા તરીકે જિઆંગ ઝેમિનનું સ્થાન લીધું છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
|-
|
Hu Jintao |
---|
તે નેતૃત્વની શૈલી બિન-આક્રમક અને અંતર્મુખ પ્રકારની છે.[1] ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકેનો તેમનો ઉદય એ ચીનમાં જૂના, સ્થાપિત સામ્યવાદી નેતૃત્વમાંથી યુવાન, વધુ વ્યવહારિક દૃષ્ટિવાળા ટૅકનોક્રેટ્સ તરફના નેતૃત્વની સંક્રાંતિને રજૂ કરે છે. વર્ચસ્વમાં આવ્યા પછી, હુએ અગાઉના શાસનતંત્રે અર્થતંત્ર પરના જે અમુક નિયંત્રણોને હળવા કર્યાં હતાં, તેને પૂર્વવત્ કર્યાં છે, રાજકીય સુધારા બાબતે તેમનો અભિગમ રૂઢિચુસ્ત છે.[2] વિદેશી નીતિમાં, હુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સોફ્ટ પાવર મેળવવા માટે, "ચીનનો શાંતિપૂર્ણ વિકાસ" નામે ઓળખાતા એક અભિગમની હિમાયત કરે છે. પોતાના સાથી, પ્રધાનમંત્રી વેન જિઆબાઓ સાથે, હુએ સાત્યયપૂર્ણ આર્થિક વૃદ્ધિ અને વિકાસ સહિત આશરે એકાદ દાયકા સુધી સર્વોપરી શાસન કર્યું છે, જેના પરિણામે ચીન એક મુખ્ય વિશ્વ સત્તા તરીકે ઊભું થયું છે. હુના શાસનકાળ દરમ્યાન, આફ્રિકા, લૅટિન અમેરિકા, અને અન્ય વિકસિત દેશોમાં ચીનનો વૈશ્વિક પ્રભાવ વધ્યો છે.[3]
હુએ પોતાના પુખ્ત જીવનનો મોટો ભાગ કમ્યુનિસ્ટ પક્ષના વહીવટમાં વ્યસ્ત રહ્યા હતા, ખાસ કરીને તિબેટ ઓટોનમસ રિજન (તિબેટ સ્વાયત્ત પ્રદેશ) માટે પાર્ટી સચિવ તરીકે, અને પાછળથી જિઆંગ ઝેમિન હેઠળ સીપીસી(CPC) સચિવાલય અને ઉપ-રાષ્ટ્રપતિના સચિવાલયના સચિવ તરીકે ફરજ બજાવી હતી. હુની રાજકીય ફિલસૂફીનો સારાંશ, દેશમાં આંતરિક સંવાદિતાપૂર્ણ સમાજ માટે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ વિકાસ માટે એક આધાર ઊભો કરવાના લક્ષ્ય તરીકે વર્ણવી શકાય;[4] ચીનના વિવિધ આર્થિક, પર્યાવરણ સંબંધી અને સામાજિક પ્રશ્નોના સંકલિત ઉકેલો શોધવા મથતા, સાયન્ટિફિક ડેવલપમેન્ટ કન્સેપ્ટ (વૈજ્ઞાનિક વિકાસ વિભાવના) દ્વારા એ શાંતિપૂર્ણ વિકાસ માટેનો આધાર ઊભો કરવામાં આવે છે.[4]
હુનો જન્મ તાઈઝોયૂ, જિઆંગસુમાં 21 ડિસેમ્બર 1942ના થયો હતો. તેના દાદાની પેઢીના સમયગાળામાં તેમના પરિવારની શાખા આન્હુઈ પ્રાંતના જિક્સી કાઉન્ટીમાંથી જિઆંગ્યાનમાં સ્થળાંતરિત થઈ હતી. આથી સત્તાવાર રૅકૉર્ડો તેમને જિઆંગસુનો કોઈ ઉલ્લેખ વગર, જિક્સી[5]ના વતની તરીકે વર્ણવે છે.
તેમના પિતા તાઇઝોયૂમાં નાનકડો ચા વેપારનો ધંધો ધરાવતા હોવા છતાં, તેમનો પરિવાર પ્રમાણમાં ગરીબ હતો. તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું, અને તેમનો ઉછેર તેમના કાકી/માસીની સંભાળમાં થયો. પાછળથી સાંસ્કૃતિક ક્રાંતિ દરમ્યાન હુના પિતાનો ઔપચારિક રીતે અસ્વીકાર કરવામાં આવ્યો, હુ પર આ ઘટનાએ દેખીતી રીતે (તેના પ્રમાણમાં નમ્ર કુળ સહિત) ઊંડી અસર પડી હતી, અને તેમણે પોતાના પિતાના નામ પરનું આળ હઠાવવા માટે ખંતપૂર્વક પ્રયત્ન કર્યા હતા.[6]
ગાયન અને નૃત્ય જેવી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે, હુ હાઈ સ્કૂલમાં મેધાવી વિદ્યાર્થી હતા. 1964માં, જ્યારે તે હજી બેઇજિંગની ત્સિંગુઆ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતા, ત્યારે હુ સાંસ્કૃતિક ક્રાંતિની પણ પહેલાં, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીન(CPC)માં જોડાયા. એ વખતે તેઓ ત્સિંગુઆ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ હતા. 1965માં તેઓ હાઇડ્રોલિક (જલશક્તિ) એન્જીનિયરિંગમાં સ્નાતક થયા. ત્સિંગુઆમાં, તેઓ પોતાના સાથી વિદ્યાર્થિની લિયૂ યોંગક્વિંગને મળ્યા, જે હવે તેમનાં પત્ની છે. તેમને હુ હાઈફેંગ અને હુ હાઈક્વિંગ નામે અનુક્રમે એક દીકરો અને એક દીકરી છે.
1968માં, હુ ગાંસુ(Gansu)માં સેવા આપવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું અને લિયૂજિઆક્સિયા હાઈડ્રોઇલેક્ટ્રિક સ્ટેશન[7](જળવિદ્યુત મથક)ના બાંધકામ પર કામ કર્યું, તે વખતે તેઓ જળ સ્રોતો અને વિદ્યુત શક્તિ મંત્રાલયની સ્થાનિક શાખાના પક્ષના કામકાજો પણ સંભાળી રહ્યા હતા. 1969થી 1974 સુધી, હુએ એક ઈજનેર તરીકે, સિનોહાઇડ્રો એન્જીનિયરિંગ બ્યુરો માટે કામ કર્યું.[8]
1974માં, હુની બદલી ગાંસુના બાંધકામ વિભાગમાં એક સચિવ તરીકે થઈ. બીજા વર્ષે તેમને ઉપ વરિષ્ઠ વડા(વરિષ્ટ ઉપાધ્યક્ષ પ્રમુખ) તરીકે બઢતી મળી. 1980માં, દેંગ જિયાઓપિંગ "ફોર ટ્રાન્સફોર્મેશન્સ (ચાર બદલાવો)" કાર્યક્રમને અમલમાં મૂકી રહ્યા હતા, જેનો ઉદ્દેશ "વધુ ક્રાંતિકારી, યુવા, વધુ જાણકાર, અને વધુ વિશેષજ્ઞ" હોય એવા સામ્યવાદી નેતાઓ પેદા કરવાનો હતો. યુવા પક્ષ સદસ્યો માટેની આ રાષ્ટ્રભરમાં ચાલેલી શોધના પ્રતિભાવમાં, સીપીસી(CPC) ગાંસુ કમિટિના પ્રથમ સચિવ (ગાંસુના ગવર્નર), સોંગ પિંગને હુ જિન્તાઓમાં એવો નેતા દેખાયો અને તેમણે તેને કેટલીક કક્ષાઓની બઢતી આપીને કમિશનના નાયબ વડાના સ્થાને મૂક્યો.[9] સોંગની એવી બીજી રક્ષિત વ્યક્તિ, વેન જિઆબાઓ પણ એ જ સમયગાળામાં આગળ આવ્યા.
1982માં, હુને બઢતી આપીને કમ્યુનિસ્ટ યૂથ લીગ ગાંસુ બ્રાન્ચ સેક્રેટરીના સ્થાને મૂકવામાં આવ્યા અને ઓલ-ચીન યૂથ ફેડરેશન(અખિલ ચીન યુવા સંઘ)ના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.[10][11] તેમના માર્ગદર્શક સોંગ પિંગની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના સંગઠન પ્રધાન તરીકે બેઈજિંગમાં બદલી કરવામાં આવી, અને તેમને વરિષ્ટ કૅડરની ભલામણ, ઉમેદવારી અને બઢતી માટેની જવાબદારી સોંપવામાં આવી. હુ યાઓબાંગ અને દેંગ જિયાઓપિંગના ટેકા સાથે, પક્ષમાં હુ માટે તેજસ્વી ભવિષ્ય નિશ્ચિત હતું. સોંગ પિંગના સૂચન પર, 1982માં કેન્દ્રીય પાર્ટી સત્તાધિકારીઓએ સેન્ટ્રલ પાર્ટી સ્કૂલ ખાતે અભ્યાસ કરવા માટે હુને બેઇજિંગ આવવા આમંત્રણ આપ્યું.[12] તે પછી થોડા જ વખતમાં, તેમની બેઇજિંગમાં બદલી કરવામાં આવી અને તેમની કમ્યુનિસ્ટ યૂથ લીગ સેન્ટ્રલ કમિટિ("સીવાય(CY) સેન્ટ્રલ")ના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી. બે વર્ષ પછી હુને સીવાય(CY) સેન્ટ્રલના પ્રથમ સચિવ તરીકે અને આમ તેના ખરેખરા નેતા તરીકે બઢતી આપવામાં આવી. યૂથ લીગમાં તેમના સત્ર દરમ્યાન, હુ તે સમયના સીપીસી(CPC)ના મુખ્ય સચિવ, હુ યાઓબાંગ સાથે, તેમની દેશભરની મુલાકાતોમાં એસ્કોર્ટ તરીકે સાથે રહ્યા. પોતે પણ યૂથ લીગમાંથી આગળ વધેલા અનુભવી નેતા એવા હુ યાઓબાંગને, હુની સોબતમાં પોતાની યુવાનીના દિવસો યાદ આવ્યા.
1985માં, હુ યાઓબાંગે હુ જિન્તાઓને ગુઇઝોયૂમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના પ્રાન્તીય કમિટિ સેક્રેટરી તરીકે બદલી આપવા માટે આગ્રહ કર્યો.[13] હુએ બૅકવોટર પ્રાંતનું અર્થતંત્ર સુધારવાનો પ્રયત્ન કર્યો, અને તેની તમામ છ્યાશી કાઉન્ટીઓની મુલાકાત લેવા બદલ જાણીતા થયા.[14] ગુઇઝોયૂમાં પોતાના કાર્યકાળ દરમ્યાન, હુએ બેઇજિંગના સૂચના-હુકમોનું પાલન કરવા અંગે અત્યંત કાળજી રાખી હતી અને "હવાચુસ્ત" હોવાની નામના મેળવી હતી; તેઓ ભાગ્યે જ નીતિ વિષયક બાબતોમાં પોતાનાં મંતવ્યો જાહેરમાં વ્યક્ત કરતા.[14] ભલે હુને સામાન્ય રીતે નિષ્ઠાવાન અને પ્રામિણક અધિકારી તરીકે જોવામાં આવતા હતા, પણ કેટલાક સ્થાનિકો તેમના પૂર્વગામી ઝુ હોઉઝેને પસંદ કરતા હતા. 1987માં, હુ જિન્તાઓએ ડેમોક્રસી વૉલ સાથે સમાંતર સ્થાનિક વિદ્યાર્થીઓના વિરોધોને કાળજીપૂર્વક સંભાળી લીધા, જ્યારે બેઇજિંગમાં એવા જ વિરોધી દેખાવોના પરિણામે હુ યાઓબાંગે મૂજબૂરીમાં રાજીનામું આપવું પડ્યું.
રાજકીય ફલક પરથી તેમના આશ્રયદાતા હુ યાઓબાંગના પ્રસ્થાન હુ જિન્તાઓ માટે પ્રતિકૂળ રહેશે એમ શરૂઆતમાં ગણવામાં આવ્યું હતું. પદ પર આરૂઢ ન હોય તેવા સુધારકની ટીકા કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેઓ પક્ષના વડાઓ તરફથી ટીકાનો ભોગ પણ બન્યા હતા.[15] 1988માં, તિબેટી સ્વાયત્ત ક્ષેત્રના પાર્ટીના ક્ષેત્રીય સમિતિ સચિવ બનવા માટે હુની બદલી કરવામાં આવી, જે પ્રથમ ક્રમાંકનું અસ્થિર ક્ષેત્ર હતું, જ્યારે પીપલ્સ લિબરેશન આર્મીના સ્થાનિક એકમોના રાજકીય અમલદારની ભૂમિકા પણ ગ્રહણ કરવાની હતી. કેટલાક તિબેટીઓ લાંબા સમયથી આ વિસ્તારમાં સરકારી નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા અને અશાંતિ તેમ જ વંશીય અથડામણો વધતી જતી હતી, ખાસ કરીને સ્થાનિક તિબેટીઓમાં હન ચીની-વિરોધી લાગણીઓ વધતી જતી હતી. નાની અથડામણો તો 1987થી થતી રહી હતી, પણ જ્યારે આ ખળભળાટની માત્રા વધી, ત્યારે હુએ ફેબ્રુઆરી 1989માં લ્હાસામાં લગભગ 1700 પીપલ્સ આર્મ્ડ(સશસ્ત્ર) પોલીસને ઉતારીને વધુ ખલેલ સામે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો.[16] 1959ના તિબેટી બળવાની 30મી વાર્ષિક તિથિના પાંચ દિવસ અગાઉ, 5 માર્ચ 1989ના વધતી જતી અથડામણો પરાકાષ્ઠાએ પહોંચી અને તેણે લ્હાસાના હાર્દ વિસ્તારમાં ગંભીર હુલ્લડનું સ્વરૂપ લીધું.[17] તેના પછી જે ઘટ્યું તે વિવાદનો વિષય છેઃ હુલ્લડ કરનારાઓ પોલીસ દ્વારા તેમના પર નિયમહીન, મનસ્વી ગોળીબાર થયાનો આક્ષેપ મૂકતા હતા, અને પોલીસ દાવો કરતી હતી કે તેણે સ્વબચાવમાં પગલું ભર્યું હતું. વધુમાં એમ ધારવામાં આવ્યું હતું કે, હુએ મોડી સાંજ સુધી વિરોધી દેખાવકારો સાથે કડકાઈથી કામ લેવા અંગેના પોતાના આદેશો વિલંબિત કરી રાખ્યા, અને ત્યાં સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હોવાથી પોલીસ વડાને પગલું લેવાની ફરજ પડી હતી. વિરોધી દેખાવકારોને બીજા દિવસે સવારે દાબી દેવામાં આવ્યા, અને હુએ 8 માર્ચના લશ્કરી કાયદો જાહેર કરવા માટે બેઇજિંગ પુછાવ્યું.[18]
માર્ચ 5ના પ્રદર્શનો અને હુલ્લડોમાં હુની ભૂમિકા ક્યારેય સ્પષ્ટ કરવામાં આવી નહીં. ભલે એ સામાન્ય શિષ્ટાચારપૂર્વક એમ કહેવાતું હોય કે હુએ વિરોધી દેખાવકારો સામે બળના પ્રયોગને કમસે કમ ગર્ભિત રીતે તો મંજૂરી આપી હોવી જોઈએ, પણ તેમણે માર્ચ 5ના સમગ્ર દિવસ દરમ્યાન ખરેખર આદેશો આપ્યા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે.[19] વધુમાં, જ્હોન ત્કાસિક ટાંકે છે કે હુ પરિસ્થિતિ વણસતી ગઈ હોવાથી ચેંગ્ડુ લશ્કરી ક્ષેત્ર સાથે સૈનિક ટુકડીઓને સંપૂર્ણ સજ્જ-સાવધ રાખવા માટે સંયોજન કરી રહ્યા હતા.[16] કેટલાક મુત્સદ્દી વિશ્લેષકો માત્ર ત્રણ જ મહિના પછી ઘટેલી, તિયાનઆન્મૅન ચોક ખાતે કાર્યકરો અને વિદ્યાર્થીઓને કચડી નાખવા માટે, તેમના મુજબ, હુએ કરેલા બળના નિર્દય ઉપયોગ સાથે ઉપરોક્ત ઘટનાને સાંકળી હતી. જૂન 4ના પીએલએ(PLA) માટે હુએ "પ્રેરણા" પૂરી પાડી હતી કે કેમ તે વિવાદની બાબત છે, પણ એટલું તો સ્પષ્ટ હતું કે લ્હાસામાં હુનાં પગલાંઓના કારણે સર્વોચ્ચ નેતા દેંગ જિયાઓપિંગ સહિત, પક્ષ સત્તાના ઉપલા સ્તરના નેતાઓનું તેમના તરફ પહેલાં કદી નહોતું ગયું એટલું ધ્યાન ખેંચાયું હતું. જ્યારે તિયાનઆન્મૅન ચોક પર લશ્કરી ટૅન્કો ફરી વળી, ત્યારે કેન્દ્રીય સત્તાધિકારીઓ પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કરનારા પહેલા ક્ષેત્રીય નેતાઓમાંના હુ એક હતા.[16] જૂન 1990માં હુને દરિયાઈ સપાટીથી ઊંચાઈ સંબંધી માંદગી થઈ, અને તેઓ બેઇજિંગ પાછા ફર્યા, પણ તે પછી પણ તેઓ બીજાં બે વર્ષ સુધી એ જ પદ પર રહ્યા, જે દરમ્યાન તેમણે ઘણી ઓછી સિદ્ધિ પ્રાપ્ત કરી. પણ તેમના બેઇજિંગ પ્રયાણને ચીની મધ્યવર્તી રાજકારણમાં પાછા ફરવા માટેના સાધન તરીકે જોવામાં આવ્યું હતું, જેના કારણે તેમના કહેવા મુજબ તેઓ ખરેખર માંદા હતા કે કેમ તે અંગે કેટલીક શંકાઓ ઉદ્ભવી હતી.[16]
1992માં સીપીસી(CPC)ની 14મી રાષ્ટ્રીય કૉંગ્રેસના આરંભ પહેલાં, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના કથિત બીજી-પેઢીના નેતાઓ (દેંગ, ચેન, લી જિયાંનિયન, વાંગ ઝેન, વગેરે) અને ત્રીજી પેઢીના નેતાઓ (જિઆંગ ઝેમિન, લી પેંગ, ક્વિઆલો શી વગેરે) વચ્ચે સત્તાનું પરિવર્તન સરળ રહે તેની ચોક્સાઈ કરવા માટે દેંગ અને ચેન યુન સહિતના, પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પોલિતબ્યુરો સ્ટેન્ડિંગ કમિટિ માટે ઉમેદવારો પસંદ કરવાના હતા. દેંગે એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે તેમણે આગળ ભવિષ્યના હસ્તાંતરણ માટે, નેતાઓની આગલી પછીનું પ્રતિનિધિત્વ કરવા માટે બને તો પચાસથી ઓછી ઉંમરનો હોય એવા એક બીજા ઉમેદવાર વિશે વિચારવું જોઈએ.[20] આ સંગઠનના વડા, સોંગે ભાવિ નેતાની અપેક્ષાએ હુની એક આદર્શ ઉમેદવાર તરીકે ભલામણ કરી. પરિણામે, તેમના 50મા જન્મદિવસના થોડા જ સમય પહેલાં, હુ જિન્તાઓ સાત-સદસ્યો ધરાવતી પોલિતબ્યુરો સ્ટેન્ડિંગ કમિટિના સૌથી યુવા સદસ્ય બન્યા, અને 1949માં જ્યારથી સીપીસી(CPC) સત્તામાં આવી ત્યારથી બીજા સૌથી યુવા પોલિતબ્યુરો સ્ટેન્ડિંગ કમિટિના સદસ્ય બન્યા.
1993માં, હુએ સીપીસી(CPC) સેન્ટ્રલ કમિટિના રોજબરોજના કામકાજની દેખરેખ રાખતા, સીપીસી(CPC) સેન્ટ્રલ કમિટિના સચિવાલયનો અને સેન્ટ્રલ પાર્ટી સ્કૂલનો હવાલો સંભાળ્યો, સીપીસીની વરિષ્ઠ કૅડરમાં તેમના પોતાના સમર્થકો લાવવા માટે આ તેમના માટે સગવડતાભર્યું હતું. હુને સીપીસીના સૈદ્ધાન્તિક કાર્ય અંગેનો હવાલો પણ સોંપવામાં આવ્યો. ભલે હુને જિઆંગના દેખીતા વારસ તરીકે માનવામાં આવતા હતા, પણ હુએ હંમેશાં જિઆંગ તેજવર્તુળના કેન્દ્રમાં રહે તે માટે ભારે કાળજી રાખી હતી. 1998ના અંત ભાગમાં, હુએ જિઆંગના "થ્રી સ્ટ્રેસિસ (ત્રણ તણાવો)"– "ભણતરનો તણાવ, રાજકીય તણાવ અને સ્વાસ્થ્યપ્રદ પ્રવાહોનો તણાવ"– નામના અપ્રિય અભિયાન માટે, તેને પ્રોત્સાહન આપતાં વકતવ્યો આપીને તેનો પ્રચાર-પ્રસાર કર્યો. 2001માં, તેમણે જિઆંગની થ્રી રેપ્રિઝેન્ટ્સ થિયરીને જાહેર કરી, જિઆંગને આશા હતી કે આ થિયરી તેમને અન્ય માર્કસવાદી વિચારકો સાથે સમાન સ્તર પર મૂકી આપશે.[21] પરિણામે, તેમણે પ્રજાને બિન-આક્રમક, વિનયી અને ગઠબંધનોની રચનામાં નિપુણ હોવાની છાપ આપી. [સંદર્ભ આપો] 1998માં, હુ ચીનના ઉપ-રાષ્ટ્રપ્રમુખ બન્યા અને જિઆંગ ઇચ્છતા હતા કે હુ વિદેશી બાબતોમાં વધુ સક્રિય ભૂમિકા ભજવે. 1999માં, બેલગ્રૅડમાં ચીની દૂતાવાસ પર થયેલા નાટો(NATO) બૉમ્બમારા દરમ્યાન હુ ચીનનો મુખ્ય અવાજ બન્યા.
2002માં જ્યારે સીપીસીની 16મી રાષ્ટ્રીય કૉંગ્રેસમાં છેવટે સત્તા પરિવર્તન કરવામાં આવ્યું, ત્યારે સત્તાના કેન્દ્ર સ્થાનને છોડવા બાબતે જિઆંગ અનિચ્છા ધરાવતા હતા. એવું વ્યાપકપણે માનવામાં આવે છે[સંદર્ભ આપો] કે તેમણે પોલિતબ્યુરોમાં તથાકથિત "શાંઘાઈ ક્લિક (શાંઘાઈ ટોળકી)"ના ઘણા સદસ્યોને રાખ્યા હતા, જેમાં વુ બાનગ્ગુઓ, જિયા ક્વિગ્લિન, ઝેંગ ક્વિંગહોંગ, હુઆંગ જુ અને લી ચાંગચુન સામેલ હતા, જેથી પડદા પાછળથી જિઆંગનું નિયંત્રણ રહે તેની ગોઠવણ થઈ શકે. જિઆંગે સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષનું સ્થાન ગ્રહણ કર્યું.
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનની સોળમી રાષ્ટ્રીય કૉંગ્રેસ ખાતે પાર્ટી જનરલ સેક્રેટરી (પક્ષના મુખ્ય સચિવ) તરીકેનું સ્થાન ગ્રહણ કર્યા પછી, હુ અને તેમના પ્રધાનમંત્રી, વેન જિઆબાઓએ, અસમાનતા ઘટાડતી અને "જીડીપી(GDP) પ્રથમ અને પ્રજાસુખાકારી દ્વિતીય"ની શૈલીમાં બદલાવ લાવવાના ઉદ્દેશ સાથે એક સંવાદિતાપૂર્ણ સમાજ રચવા અંગે પ્રસ્તાવ મૂક્યો. તેમણે આર્થિક સુધારાઓના કારણે પાછળ રહી ગયેલી ચીની વસતિનાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને ચીનના ગરીબમાં ગરીબ વિસ્તારોની એકથી વધુ ઉચ્ચ સ્તરીય મુલાકાતો લીધી, જેનો હેતુ આ વિસ્તારોની વધુ સારી સમજણ મેળવવાનો હતો. હુ અને વેન જિઆબાઓએ ચીનને તેની ગમે તે ભોગે આર્થિક વૃદ્ધિ-વિકાસની તરફેણ કરવાની નીતિમાંથી ચ્યુત કરવાનો અને વિકાસ અંગેના વધુ સંતુલિત દૃષ્ટિકોણ, જેમાં સામાજિક અસમાનતા અને પર્યાવરણ સંબંધી નુકસાન જેવાં પરિબળો સમાવિષ્ટ હોય તેવા દૃષ્ટિકોણ તરફ દોરવાનો પણ પ્રયાસ કર્યો, જેમ કે કર્મચારી નિર્ણયોમાં ગ્રીન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (હરિયાળી કુલ આંતરિક આવક)નો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. જો કે, જિઆંગની ટોળકીએ મોટા ભાગનાં વિકાસ ક્ષેત્રોમાં નિયંત્રણ જાળવી રાખ્યું, તેથી હુ અને વેનના બૃહદ્-આર્થિક નિયમનનાં પગલાંઓ ઘણા પ્રતિરોધનો સામનો કરવો પડ્યો.
હુના નેતૃત્વકાળમાં સર્જાયેલી પ્રથમ કટોકટી એ 2003માં સાર્સ (SARS) ફાટી નીકળવાની ઘટના હતી. ચીનને શરૂઆતમાં આ કટોકટી છુપાવવા માટે અને પછી તેને ધીમી ગતિએ પ્રતિભાવ આપવા માટે મળેલી તીવ્ર ટીકા પછી, તેમણે પક્ષ અને સરકારના કેટલાક અધિકારીઓને પદભ્રષ્ટ કર્યા, જેમાં જિઆંગને સમર્થન આપતા, આરોગ્ય પ્રધાન અને વ્યાપકપણે હુના રક્ષિત વ્યક્તિ તરીકે જોવાતા બેઇજિંગના મેયર, મેંગ જુએનોંગનો સમાવેશ થયો હતો. મેંગની રુખસદને ક્યારેક પક્ષમાંથી જિઆંગના સમર્થનને ધોઈ નાખવાના સમાધાન તરીકે જોવામાં આવે છે.[સંદર્ભ આપો] હુ અને વેને આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંગઠનોમાં ચીનના સુપરત કરેલા અહેવાલોમાં પારદર્શિતા વધે તે માટેનાં પગલાં લીધાં. જે અપ્રત્યક્ષ રીતે આ મુદ્દે જિઆંગના વલણ પર તમાચો મારવા બરાબર છે.[સંદર્ભ આપો]
15 નવેમ્બર 2002ના, હુ જિન્તાઓની આગેવાનીમાં નવી પોલિતબ્યુરોએ જિઆંગનું સ્થાન લીધું. અલબત્ત, ત્યારે 76 વર્ષના જિઆંગ, મુખ્ય સચિવના શક્તિશાળી પદ પરથી નીચે ઊતર્યા અને પોલિતબ્યુરો સ્ટેન્ડિંગ કમિટિએ ચોથી પેઢી ના યુવા નેતૃત્વ માટે માર્ગ કરવાનો હતો, છતાં એવી અટકળો હતી કે સર્વશક્તિમાન સ્ટેન્ડિંગ કમિટિના નવમાંથી છ સદસ્યો જેની સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવતું હતું એ જિઆંગની પ્રભાવક શાંઘાઈ ટોળકી સાથે હુ સંકળાયેલા નહોતા, એટલે જિઆંગ પોતાનો પ્રભાવ બનાવી રાખશે. જો કે, પાછળનો ઘટનાક્રમ દર્શાવે છે કે તેના ઘણા સદસ્યોએ પોતાનાં વલણો બદલ્યા હતા. ઉદાહરણ તરીકે, ઝેંગ ક્વિંગહોંગ, જિઆંગના અનુયાયીમાંથી બદલાઈને બે પક્ષો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ આપવા માંડ્યા હતા.[22] 2003માં, જિઆંગ સીપીસી(CPC)ના સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ પદે ફરીથી ચૂંટાયા હતા, આ એ પદ હતું કે જેના પર રહીને દેંગ જિયાઓપિંગ પડદા પાછળથી 'સર્વોપરી નેતા' તરીકે સત્તા ચલાવવા સમર્થ બન્યા હતા, અને એમ કરીને લશ્કરી સત્તાને પોતાના કબજામાં રાખતા હતા.
ચીનના વારસદારોના પતનના તાજેતરના ઇતિહાસને ટાંકીને, પશ્ચિમી અવલોકનકારો હુની ફિલસૂફીઓ પ્રત્યે સાવધ રહેવાનું કારણ દર્શાવે છે. દેંગ જિયાઓપિંગે પક્ષ માટે ત્રણ મુખ્ય સચિવો નીમ્યા હતા, તમામે જે-તે વ્યક્તિ પછી વારસામાં પદગ્રહણ કરવું એમ નિશ્ચિત હતું, અને તેમાંથી બે, હુ યાઓબાંગ અને ઝાઓ ઝિયાંગની હકાલપટ્ટીમાં પણ તેઓ નિમિત્ત રહ્યા હતા. તેમની ત્રીજી અને અંતિમ પસંદગી, જિઆંગ ઝેમિનને, દેંગનું સતત અલબત્ત સંદિગ્ધ પીઠબળ મળ્યું અને સામ્યવાદી ચીનના મુખ્ય સચિવના ઇતિહાસમાં પોતાનો કાર્યકાળ પૂરો થતાં, પોતાના પદનો સ્વૈચ્છિક રીતે ત્યાગ કરનારા તેઓ એક માત્ર મુખ્ય સચિવ હતા.
અલબત્ત ઘણાનું એવું માનવું છે કે મૂળે ચીનના ટોચના નેતૃત્વના સૌથી યુવા સદસ્ય તરીકે અને જિઆંગનું સ્થાન લેવા માટેના અગ્ર ઉમેદવાર તરીકે દેંગે હુની પસંદગી અત્યંત કાળજીપૂર્વક કરી હતી, છતાં પોતાની આ સ્થિતિને મજબૂત કરવા માટે 1992થી 2002ના ગાળામાં હુએ પોતાની રાજકીય કુશળતા સારી રીતે દાખવી હતી, અને છેવટે તેમના પોતાના બળબૂતા પર દેખીતી રીતે જિઆંગના વારસ તરીકે ઊભર્યા હતા. તેમના પૂર્વગામીઓના સમયમાં જેનો સદંતર અભાવ હતો, તે પાર્ટીની અંદર જ ધીમા પણ પ્રગતિશીલ સત્તા-પરિવર્તનના સંસ્થાનીકરણથી હુને લાભ થયો હતો. 1980ના દાયકાના આરંભથી, પ્રગતિશીલ સંસ્થાનીકરણ અને સર્વાનુમતે શાસન એ પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના અંગભૂત ભાગ બન્યા છે, અને તે માઓવાદી સરમુખત્યારી મૉડેલથી દૂર ગઈ. જો કે પશ્ચિમી-ઢબની કાયદાકીય સંસ્થા અને કાયદાના શાસનને પૂરતું સ્થાન મળવું બાકી છે, છતાં હુની સત્તાગ્રહણની પ્રક્રિયા સારી એવી વ્યવસ્થિત ઢબે અને સભ્ય રીતે કરવામાં આવી, જે સામ્યવાદી ચીનના ઇતિહાસમાં અપૂર્વ હતી. આ પ્રવાહ ચાલુ રહે તેવી અપેક્ષા છે અને સત્તા પરિવર્તન માટેની એક સંસ્થાગત કાર્યપદ્ધતિ ઊભી થાય તેવી અપેક્ષા છે, આ પ્રકારની વ્યવસ્થા કદાચ પાર્ટીમાં પહેલવહેલી હશે. ખરેખર તો, સત્તા પરિવર્તન માટેની વ્યવસ્થિત પ્રણાલી અને અનૌપચારિક શાસન તથા વ્યક્તિત્વ આધારિત સંપ્રદાય અટકાવવાની તંત્રવ્યવસ્થા રચવી તે પાર્ટીના લેખિત મુખ્ય લક્ષ્યાંકોમાંનું એક છે.
જિઆંગ પોતાના પદ પરથી નીચે ઊતર્યા તે પછી, જિઆંગ અને હુ વચ્ચેની શત્રુતા તે, ચોક્કસ જ, ચીનની સત્તા પરિવર્તનની પરંપરાની આવશ્યક પેદાશ છે. કેટલાક વિશ્લેષકોની દલીલ છે કે ભલે જિઆંગ નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમણે પોતાની સત્તા મજબૂત કરી લીધી હતી, પરંતુ સામ્યવાદી પાર્ટીની અંદર તેમની સૈદ્ધાન્તિક મહત્તા, શ્રેષ્ઠ શબ્દોમાં કહીએ તો, અસ્થિર રહી છે, આમ થ્રી રેપ્રિઝેન્ટ્સ જેવો તેમનો સૈદ્ધાન્તિક વારસો, ચીનના સમાજવાદ મતમાં પ્રતિષ્ઠાપિત થાય તે માટે જિઆંગે સમય મેળવવો જરૂરી હતો. જિઆંગે સપ્ટેમ્બર 2004માં સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું, જે તેમનો છેલ્લો અધિકૃત હોદ્દો હતો. તેમનું રાજીનામું હુના દબાણનું પરિણામ હતું કે તેમનો અંગત નિર્ણય હતો તે અટકળનો વિષય છે. ત્યારથી હુએ સત્તાવાર રીતે પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના સત્તાના કેન્દ્ર સમી ત્રણે સંસ્થાઓ- પાર્ટી, રાજ્ય, તેમ જ લશ્કર-નો હવાલો સંભાળી લીધો છે, અને આમ અનૌપચારિક ધોરણે સર્વોપરી નેતા બન્યા છે.
મુખ્ય સચિવ હુ અને પ્રધાનમંત્રી વેન જિઆબાઓને સામાજિક, રાજકીય અને પર્યાવરણ સંબંધી આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત એવું ચીન વારસામાં મળ્યું છે. હુ સમક્ષના સૌથી મોટા પડકારોમાંનો એક તે ચીની અમીર અને ગરીબ વચ્ચે ધનનો અત્યંત મોટો તફાવત હોવો તે છે, જેનાથી લોકોમાં અસંતોષ અને ગુસ્સો એ હદે વધ્યા છે કે તે સામ્યવાદી શાસન માટે ગજબની મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. વધુમાં, સગાંવાદ અને ભ્રષ્ટાચાર ચીનની નાગરિક સેવાઓ, લશ્કર, શિક્ષણ, ન્યાય અને તબીબી પ્રણાલીઓને ભરડામાં લઈને દેશને કણ કણ કરીને નાશ કરવા બેઠા છે. જો કે, 2006ની શરૂઆતમાં, હુએ પ્રજામાં વધુ નિસ્વાર્થી અને નૈતિક દેખાવને પ્રોત્સાહિત કરવા માટેની એક હોડ, "8 ઓનર્સ એન્ડ 8 ડિસ્ગ્રેસિસ (8 બહુમાનો અને 8 અપમાનો)" નામનું એક અભિયાન શરૂ કર્યું. ચીનના સતત વધતા જતા નાજુક વાતાવરણના કારણે મોટા પાયે શહેરી પ્રદૂષણ, રેતતોફાનો અને વસવાટયોગ્ય ભૂમિના વિશાળ પ્રદેશોનો નાશ થયો છે. સામાન્ય રીતે સાવચેત પ્રકૃતિ ધરાવતા હુ, આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટનાઓ ટાળીને, અને સાથે સાથે ચીની રાષ્ટ્રવાદી લાગણીમાં આવેલા અપૂર્વ જુવાળને જાળવીને ચીનનો શાંતિપૂર્ણ વિકાસ ચાલુ રાખવા માટે શક્તિમાન છે કે કેમ તે જોવું રહ્યું.
15 માર્ચ 2008ના 17મી રાષ્ટ્રીય પીપલ્સ કૉંગ્રેસમાં, હુને રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ તરીકે પણ ફરીથી ચૂંટાઈ આવ્યા હતા.[23]
ન્યૂઝવીકે હુનો "વિશ્વના સૌથી સુપરચાર્જ્ડ અર્થતંત્રના સ્ટીઅરિંગ વ્હીલ પાછળના માણસ" તરીકે ઉલ્લેખ કરીને તેમને વિશ્વના બીજા સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ ઘોષિત કર્યા હતા.[24] ફોર્બ્સે પણ તેમને વિશ્વમાં બીજા સૌથી વધુ શક્તિશાળી માણસ તરીકે ઘોષિત કર્યા.[25] ફોર્બ્સ મૅગેઝિને 2010 વર્લ્ડ્ઝ મોસ્ટ પાવરફુલ પર્સન (2010 વિશ્વની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ) તરીકે હુને ઘોષિત કર્યા.[26] ટાઈમ 100ની સૌથી વધુ વગદાર લોકોની વાર્ષિક યાદીમાં, હુનો ચાર વખત (2008, 2007, 2005 અને 2004) સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાજકીય અવલોકનકારો સૂચવે છે કે આંતરિક અને વિદેશી બંને નીતિઓમાં હુ પોતાની જાતને તેમના પૂર્વગામીઓથી અલગ પાડી છે. તેમના રાષ્ટ્રપ્રમુખ-કાળ દરમ્યાન હુની રાજકીય ફિલસૂફીનો સાર ત્રણ સૂત્રોમાં રજૂ થાય છે – આંતરિક રીતે "સંવાદિતાપૂર્ણ સમાજ" અને આંતરરાષ્ટ્રીય ધોરણે "શાંતિપૂર્ણ વિકાસ", આ શાંતિપૂર્ણ વિકાસ તે વૈજ્ઞાનિક વિકાસ વિભાવના પર આધારિત છે, જે આર્થિક, પર્યાવરણ સંબંધી અને સામાજિક સમસ્યાઓની હારમાળાઓ માટે સંકલિત ઉકેલોના જૂથ શોધે છે, અને અંતઃ વર્તુળોમાં, સાવચેતીપૂર્વક અને ધીરે ધીરે રાજકીય સુધારાઓની જરૂરિયાતને ઓળખે છે.[4] 2007 અને 2008માં, અનુક્રમે કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્ર બંધારણોમાં વૈજ્ઞાનિક વિકાસ વિભાવનાને લેખિત સ્વરૂપે સમાવવામાં આવી. દેંગ જિયાઓપિંગ દ્વારા રચવામાં આવેલી, અને જિઆંગ ઝેમિન દ્વારા અમલીકૃત બનેલી પાર્ટીની ભૂમિકા, એક ક્રાંતિકારી પક્ષમાંથી એક શાસક પક્ષ તરીકે બદલાઈ. પાર્ટીના "વિકાસ" માટે અને પ્રશાસનમાં તેની વધતી પારદર્શિતા માટે હુએ પાર્ટીનું આધુનિકીકરણ ચાલુ રાખ્યું.
હુની દૃષ્ટિએ, આ ફિલસૂફીઓમાંથી રાષ્ટ્રીય માળખા અને વિકાસ માટેનો સુઆયોજિત અભિગમ ધરાવતો દેશ ઊભરે છે, જ્યાં, ગતિશીલ આર્થિક વૃદ્ધિ, "બિનજાહેર" (એટલે કે ખાનગી) ક્ષેત્રથી ધમધમતું મુક્ત બજાર, રાજકીય અને પ્રસાર-માધ્યમો પર કઠોર નિયંત્રણ, રાજકીય નહીં પણ અંગત સ્વાતંત્ર્ય, તમામ નાગરિકોની સુખાકારી માટેની ચિંતા, સાંસ્કૃતિક મૂલ્ય-પ્રસાર, અને ભિન્ન સામાજિક પ્રશ્નો (વૈજ્ઞાનક વિકાસ પરિપ્રેક્ષ્ય) માટે એક સુમેળભર્યો અભિગમ (વૈજ્ઞાનિક વિકાસ પરિપ્રેક્ષ્ય) સાથે જોડાયેલાં હોય, અને જે હુની દૃષ્ટિએ, એક "સંવાદિતાપૂર્ણ સમાજ" તરફ દોરે છે. ચીની સરકારની દૃષ્ટિએ, શાસન વ્યવસ્થાનું એક નવું "ચીન મૉડલ" જેના આધારે રચાયું છે તેવી આ ફિલસૂફીઓ, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે, પશ્ચિમના "લોકશાહી મૉડલ"નો યોગ્ય વિકલ્પ તરીકે કામ આપે છે. હુના શબ્દોમાં, "એક સંવાદિતાપૂર્ણ સમાજ લોકશાહી, કાયદાનું શાસન, સમાનતા, ન્યાય, નિષ્ઠા, સૌહાર્દ અને જીવનશક્તિ દાખવતો હોવો જોઈએ."[4] તેઓ કહે છે, આવો સમાજ લોકોની પ્રતિભા અને રચનાત્મકતાને પૂરો અવકાશ આપશે, સુધારા અને વિકાસના કારણે ઊભી થયેલી સામાજિક ધનસંપત્તિને તમામ લોકોમાં પરસ્પર વહેંચવા માટે ક્ષમતા આપશે, તથા લોકો અને સરકાર વચ્ચે અત્યાર સુધીનો સૌથી નજીકનો સંબંધ સ્થાપશે.
ખાસ કરીને માનવ અધિકારો અંગેની, હુની પશ્ચિમની ટીકા, સામાજિક સ્થિરતા બાબતેની તેમની અતિસંવેદનશીલતા છતી કરે છે પણ ચીનના બહુ-આયામી સામાજિક પ્રશ્નોને ઉકેલવા માટેની તેમની તાજેતરની પ્રતિબદ્ધતા પર એટલો ભાર મૂકતી નથી.[4] હુનો વ્યવહારિક, બિન-સૈદ્ધાન્તિક એજન્ડા તેના હાર્દમાં બે મૂલ્યો ધરાવે છે- વધુ આર્થિક વિકાસ માટે સામાજિક સ્થિરતા જાળવવી અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વને સમૃદ્ધ બનાવવા માટે ચીની સંસ્કૃતિને ટકાવી રાખવી. દેશની આંતરિક નીતિમાં, સરકારી કામકાજો અને બેઠકો અંગે પ્રજા પ્રત્યે વધુ ખુલ્લાપણું તેઓ ઇચ્છતા હોય તેવું લાગે છે. તાજેતરમાં જ, ચીનની સમાચાર એજન્સીએ ઘણી પોલિતબ્યુરો સ્ટેન્ડિંગ કમિટિ બેઠકોની વિગતો પ્રકાશિત કરી. વિદેશી ભૂમિઓના પ્રવાસે જતા અને પરત ફરતા ચીની નેતાઓને વળાવવાના અને તેમનું ફરીથી સ્વાગત કરવાના ભવ્ય પ્રસંગો, જેને પરંપરાગત રીતે સામ્યવાદી સ્વૈરપણા તરીકે જોવામાં આવતા, તેવા ઘણા પ્રસંગોને પણ તેમણે રદ કર્યા હતા. વધુમાં, હુના નેતૃત્વમાં ચીની નેતાગીરીએ ધનવાન અને ગરીબ વચ્ચેની ખાઈ અને આંતરિયાળ અને કિનારાના વિસ્તારોના અસમાન વિકાસ જેવી સમસ્યાઓ પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પક્ષ અને રાષ્ટ્ર, બંને માત્ર જીડીપી(GDP) વૃદ્ધિ પર કેન્દ્રિત વિકાસની વ્યાખ્યાથી દૂર હટીને જેમાં સામાજિક સમાનતા અને પર્યાવરણ સંબંધી અસરો સમાવિષ્ટ હોય તેવી વિકાસની વધુ સંતુલિત વ્યાખ્યા તરફ આગળ વધી રહ્યાં હોય તેવું લાગે છે.
2004માં, હુએ એક અપૂર્વ રજૂઆત કરી અને મુખ્ય પાંચ સત્તા સ્થાનો પરની તમામ કૅડરોને તેમની વાર્ષિક ઉનાળુ બેઠક માટે બેઇદાઈહે દરિયા નજીકના સ્થળે એકાંતપ્રવાસે જવાની પરંપરાને અટકાવવાનો આદેશ આપ્યો, આ વાર્ષિક ઉનાળુ બેઠકને પહેલાં ચીનની નિયતિ નક્કી કરવા માટે મળતા વર્તમાન અને વડીલ એમ બંને કૅડરોમાંથી શાસન ધુરા સંભાળનારા ચુનંદા નેતાઓના સંમેલન તરીકે, અને પ્રજાના નાણાના અનાવશ્યક બગાડ તરીકે જોવામાં આવતી હતી. હુના આ પગલાને ચીની પ્રજાએ તેમના ભ્રષ્ટાચાર પ્રત્યેના વલણના સંકેતચિહ્ન તરીકે જોયું હતું.
જૂન 2007માં, હુએ સેન્ટ્રલ પાર્ટી સ્કૂલ ખાતે એક અગત્યનું વકતવ્ય આપ્યું જે તેમના સત્તા સ્થાનને અને તેમની માર્ગદર્શક ફિલસૂફીઓને સૂચવતું હતું. આ વકતવ્યમાં હુએ સામાન્ય ચીનીને અપીલ કરવા માટે લોકોને ગમે તેવી છટામાં વાત કરી, અને ચીન તાજેતરમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને આવકની વિષમતા, તેની ગંભીર નોંધ લીધી. વધુમાં, હુએ દેશમાં "વર્ધિત લોકશાહી"ની જરૂરિયાતની નોંધ લીધી. અલબત્ત પશ્ચિમમાં આ શબ્દપ્રયોગનો જે સામાન્ય અર્થમાં ઉપયોગ થાય છે તેના કરતાં અહીં પાર્ટીમાં તેના ભિન્ન અર્થો છે, છતાં તે દર્શાવે છે કે હુના શાસને આવનારાં વર્ષોમાં રાજકીય સુધારાને પોતાના એજન્ડામાં એક અગત્યના ભાગ રૂપે સ્થાન આપ્યું છે, જ્યારે જિઆંગના યુગ દરમ્યાન આવા કોઈ વલણને સ્થાન જ નહોતું.[સંદર્ભ આપો]
હુ એક "અવ્યાવહારિક ઉદારમતવાદી" હતા તેવી આરંભની અપેક્ષાઓ છતાં, હુએ પ્રસાર-માધ્યમોના ઉદારીકરણ બાબતે ખાસ્સો હાર્ડ-લાઈન અભિગમ દાખવ્યો છે.
લોકપ્રિય બાબતો જેવી કે 2008 સિયાચીન ધરતીકંપ, તેમ જ સ્થાનિક સ્તરે થતા ભ્રષ્ટાચાર જેવા વિષયોના અહેવાલ રજૂ કરવા માટે પ્રસાર-માધ્યમોને ઘણી વધુ છૂટ આપવામાં આવી છે. સરકાર પ્રસાર-માધ્યમોએ તેમની નીતિ બાબતે કરેલી ટીકાઓનો પ્રતિભાવ પણ આપે છે, ઉદાહરણ તરીકે, સાર્સ(SARS) રોગચાળાના પ્રતિભાવમાં, અને લોકપ્રિય વ્યક્તિના જાહેર સ્મારક સમારંભો સંદર્ભે, ભૂતપૂર્વ આગેવાન ઝાઓ ઝિયાંગને પદભ્રષ્ટ કર્યા.
હુ ઇન્ટરનેટની બાબતે અત્યંત સાવચેત છે, તેઓ જિઆંગના યુગ કરતાં પણ વધુ સખત રીતે રાજકીય સંવેદનશીલ સામગ્રીને દૂર કરવાનું પસંદ કરે છે.[સંદર્ભ આપો] ફેબ્રુઆરી 2007માં, હુ આંતરિક પ્રસાર-માધ્યમો પરનાં નિયંત્રણોને વધારવા તરફ આગળ વધ્યા, જેના અંતર્ગત પ્રાઇમટાઇમ ટીવી શ્રેણીઓમાં "નૈતિક રીતે સાચી" વિષયવસ્તુ રજૂ કરવાની મર્યાદા મૂકવામાં આવી- તેમણે તમામ ચીની ટીવી સ્ટેશનો પર- ખાસ સંસ્કારી નહીં તેવા કાર્યક્રમો, જેમાં કેટલાક રિયાલિટી શો સામેલ છે, સામે વાંધો ઉઠાવ્યો, અને સમાચાર અહેવાલ આપવા બાબતે "20 પ્રતિબંધિત ક્ષેત્રો"ની યાદી આપી.
This section needs to be updated. (February 2010) |
તેમના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળના આરંભમાં, હુએ પ્રજાસત્તાક ચીનના ત્યારના રાષ્ટ્રપ્રમુખ ચેન શુઈ-બિયાનના રૂપમાં તેમના સ્વતંત્રતા-સમર્થક પ્રતિરૂપનો સામનો કર્યો. 1992 એકમતિને નકારીને, કોઈ પણ પૂર્વશરતો વિના ચેનને મંત્રણાઓ માટે બોલાવ્યા. ચેન શુઈ-બિયાન અને તેમનો પક્ષ સતત તેમના અંતિમ ધ્યેય- તાઇવાનની સ્વતંત્રતાને અભિવ્યક્ત કર્યા કરતા હતા, અને તાઇવાનના રાજકીય સ્થાન અંગે વિધાનો કરતા હતા, જે પીઆરસી(PRC)ના મતે ઉત્તેજક હતા. હુનો શરૂઆતનો પ્રતિભાવ "સોફ્ટ (હળવા)" અને "હાર્ડ (કટ્ટર)" અભિગમોનું સંયોજન હતો. એક તરફ, હુએ તાઇવાન માટે ચિંતાના અનેક મુદ્દાઓ પર વાટાઘાટ કરવાની લવચીકતા દાખવી. બીજી તરફ, તેમણે કોઈ પણ પૂર્વશરતો વિના વાર્તાલાપ કરવાનું સતત નકાર્યું અને ચીની પુનઃએકીકરણના અંતિમ ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા. પોતાના 17 મેના વિધાનમાં હુ જિન્તાઓએ તાઇવાન સાથેના રાજકીય સંબંધોમાં થોડા વધુ લવચીક બનવા અંગેના કેટલાક સંકેતો આપ્યા, જેમાં તેમણે તાઇવાન માટે "આંતરરાષ્ટ્રીય જીવન અવકાશ"ની સમસ્યાને સંબોધવાની તૈયારી દાખવી, પણ હુની સરકાર પોતાના એ મત પર દૃઢ રહી કે મેનલૅન્ડ બાજુ, તાઇવાની સરકારના ચીનથી કાયદેસર સ્વતંત્રતા ઘોષિત કરવાના કોઈ પણ પ્રયાસને સાંખી લેશે નહીં.
2004માં ચેન શુઈ-બિયાન ફરીથી ચુંટાઈ આવ્યા પછી, હુની સરકારે પોતાની યુક્તિઓ બદલી. હુની સરકારે ચેન શુઈ-બિયાન અને ડીપીપી(DPP)ના સ્વતંત્રતા-તરફી ઝોક તેમ જ 1992ની એકમતિના ખંડનના કારણે તાઇપેઈ વહીવટી શાસન સાથે કોઈ સંપર્ક નહીં રાખવાની નીતિ અખત્યાર કરી. સરકારે તાઇવાન સામેના પોતાના લશ્કરી કાફલાને જાળવી રાખ્યો, અને રાજદ્વારી રીતે તાઇવાનને અલગ પાડી દેવાની જોરદાર નીતિને વળગી રહી. માર્ચ 2005માં, રાષ્ટ્રીય પીપલ્સ કૉંગ્રેસે તાઇવાનમાં સ્વતંત્રતાની ઘોષણાના પ્રતિભાવમાં એક વિકલ્પ તરીકે "બિન-શાંતપૂર્ણ ઉપાયો"ને કાયદેસર કરતો, જુદા પાડવા-વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો.
હુની સરકારે, 1920ના દાયકામાં સામ્યવાદી ક્રાંતિની શરૂઆતથી તેની મૂળભૂત શત્રુ અને હજી પણ તાઇવાનમાં એક મુખ્ય પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવતી કુઓમિન્તાંગ(KMT) સાથે સંપર્કો વધારી દીધા. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીન (CPC) અને ચિઆંગ કાઈ-શેકની કુઓમિન્તાંગ વચ્ચેનો સંબંધ જ્યારે બંને પક્ષોએ ઉત્તરી ચડાઈમાં એકબીજાને બે વખત સહકાર આપ્યો હતો ત્યારથી ચાલ્યો આવે છે, ચીની આંતરવિગ્રહ દરમ્યાન તેઓ વધુ કડવા શત્રુ બન્યા, અલબત્ત જાપાન સામેના યુદ્ધ દરમ્યાન તેઓ નામમાત્રના મિત્રો રહ્યા, 1945 પછી તેમની વચ્ચે ફરીથી શત્રુતા સ્થાપિત થઈ અને ચિઆંગ કાઈ-શેક 1949માં તાઇવાન ભાગી ગયા. તેમના સતત વધતા સંપર્કો 2005 પાન-બ્લ્યુની તળ ખંડ ચીનની મુલાકાતોમાં પરિણમ્યા, જેમાં એપ્રિલ 2005માં હુ અને ત્યારના કેએમટી(KMT) અધ્યક્ષ લિએન ચાન વચ્ચેની ઐતિહાસિક મુલાકાતનો સમાવેશ થાય છે.[27][28]
20 માર્ચ 2008ના, કુઓમિન્તાંગ તાઇવાનમાં રાષ્ટ્રપ્રમુખપદ પર આવ્યો. તેને ધારાગૃહ યુઆનમાં પણ બહુમતી મળી. તાઇવાનને મોટા ભાગે શરતોના હુકમો આપતા, તેના પૂર્વગામીઓની સરખામણીમાં, હુ તાઇવાન સાથે, ખાસ કરીને એકીકરણ-તરફી કુઓમિન્તાંગ પાર્ટી સાથે હાથ મિલાવવાની તરફેણમાં સક્રિય પગલાં લેવામાં આગળ રહ્યા.[29]
તેના પછી સીપીસી(CPC) અને કેએમટી(KMT) વચ્ચે શૃંખલાબદ્ધ ઐતિહાસિક બેઠકો યોજાઈ. 12 એપ્રિલ 2008ના, એશિયા માટેના બોઅઓ ફોરમ દરમ્યાન હુ જિન્તાઓએ આરઓસી(ROC)ના ત્યારના ચૂંટાયેલા ઉપ-રાષ્ટ્રપતિ વિન્સેન્ટ સિવ સાથે ક્રોસ-સ્ટ્રેઇટ કૉમન માર્કેટ ફાઉન્ડેશનના અધ્યક્ષની રૂએ એક ઐતિહાસિક બેઠક કરી. 28 મે 2008ના, હુ કેએમટી(KMT)ના અધ્યક્ષ વુ પોહ-હ્સિયૂંગને મળ્યા, જે શાસન પક્ષો તરીકે સીપીસી (CPC) અને કેએમટી(KMT)ના વડાઓ વચ્ચેની પહેલી બેઠક હતી. હુ અને વુ એ બાબતે સહમત થયા કે બંને પક્ષોએ 1992ની એકમતિ હેઠળ અધિકૃત સંવાદ ફરીથી શરૂ કરવો જોઈએ. વુ તાઇવાનમાં તાઇવાની સ્વતંત્રતા વિરુદ્ધની નવી સરકાર બનાવી, હુએ પોતાની સરકારને તાઇવાની લોકોની સુરક્ષા, ગરિમા, અને "આંતરરાષ્ટ્રીય જીવન અવકાશ" સંદર્ભેની સમસ્યાઓને સંબોધવા માટે પ્રતિબદ્ધ બનાવી, જેમાં વિશ્વ આરોગ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)માં તાઇવાની લોકોને સહભાગી થવા બાબતે અગ્રતા આપવામાં આવશે.
તે જ રીતે, પક્ષ-પક્ષ માર્ગ, 1992ની એકમતિના આધારે જૂન 2008માં સ્ટ્રેઇટ્સ એક્સચેન્જ ફાઉન્ડેશન અને અસોસિએશન ફોર રિલેશન્સ અક્રોસ ધ તાઇવાન સ્ટ્રેઇટ્સ થકી અર્ધ-સરકારી સંવાદ માર્ગ જૂન 2008માં ફરીથી ખુલવા નિર્ધારિત છે, જેની પહેલી બેઠક બેઇજિંગમાં થઈ. હુ અને તેના નવા પ્રતિરૂપ મા યિંગ-જેઓઉ એ વાતે સહમત છે કે તાઇવાન સામુદ્રધુનીની બંને બાજુએની વાટાઘાટો માટેનો આધાર 1992ની એકમતિ છે. 26 માર્ચ 2008ના, હુ જિન્તાઓએ યુએસ(US) રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશ સાથે ટેલિફોન પર વાતચીત કરી, જેમાં સીપીસી(CPC)ના નેતા તરીકે તેમણે પહેલી વખત કબૂલ્યું કે "1992ની એકમતિ" જુએ છે કે "બંને બાજુઓ ઓળખે કે અહીં માત્ર એક જ ચીન છે, પણ તેની પોતાની વ્યાખ્યામાં બાબતે જુદા પડવા સહમત થાય છે."[30] SEF-ARATSની બેઠકની પ્રથમ અગ્રતા એ ત્રણ જોડાણ-માર્ગો, ખાસ કરીને તળ ખંડ ચીન અને તાઇવાન વચ્ચેની સીધી ફ્લાઇટો, ફરીથી ખુલે તે છે.
ચીનમાં મોટી સંખ્યામાં સામાજિક સમસ્યાઓના પ્રતિભાવમાં, માર્ચ 2006માં, હુ જિન્તાઓએ "એઈટ ઓનર્સ એન્ડ એઈટ શેમ્સ (આઠ બહુમાનો અને આઠ શરમો)" નામે ચીની લોકોના અનુસરણ માટે નૈતિક આદેશો પ્રસારિત કર્યા, અને આ સંદેશને યુવાનો સુધી પ્રસારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.[31] "એઈટ ઓનર્સ એન્ડ ડિસ્ગ્રેસિસ (આઠ બહુમાનો અને અપમાનો)"ના વૈકલ્પિક નામે પણ જાણીતા આ નૈતિક આદેશો, એક સારા નાગરિકે શેને બહુમાન તરીકે જોવું જોઈએ અને શેને શરમ તરીકે જોવું જોઈએ તેને આઠ કાવ્યાત્મક લીટીઓમાં રજૂ કરે છે. ચીની આર્થિક સુધારાઓ પછી, તેના વધુ ને વધુ નબળા થતા જતા સામાજિક પોતમાં પૈસા અને સત્તા કમાવાને જ મહત્ત્વ આપતી એક ચીની પેઢીના આવ્યા પછી, આ આદેશોને ચીનમાં નૈતિકતાના વધતા જતા અભાવને દૂર કરવા હુ જિન્તાઓએ આપેલા સૈદ્ધાન્તિક ઉકેલોમાંના એક તરીકે વ્યાપક રૂપે જોવામાં આવે છે.[સંદર્ભ આપો]
માર્ક્સવાદી થિયરીમાં તેમનું પોતાનું યોગદાન આપવું તે ચીની સામ્યવાદી નેતાઓ માટે એક રૂઢિ બની ગઈ છે. [સંદર્ભ આપો] આ આદેશોને માર્ક્સવાદી થિયરીમાં હુના યોગદાનરૂપે ગણી શકાય કે નહીં તે ચર્ચાસ્પદ છે, પણ એકંદરે ચીની પ્રજામાં તેનો મધ્યમસરનો સ્વીકાર જોવા મળ્યો છે.[સંદર્ભ આપો] જો કે, તેનો પ્રચાર-પ્રસાર, લગભગ તમામ જગ્યાએ જોઈ શકાય છેઃ વર્ગખંડના પોસ્ટરોમાં, ગલી-રસ્તાઓ પર લગાડેલાં બેનરો પર અને 2008 ઑલિમ્પિકની, અને શાંઘાઈમાં વર્લ્ડ એક્સ્પો 2010 તૈયારી માટેના ઇલેક્ટ્રોનિક ડિસપ્લે બોર્ડ પર તેમને જોઈ શકાય છે. તેમણે સૂચવેલાં નૈતિક આચરણનાં ધોરણો તેમના પૂર્વગામીઓની વિચારધારાઓથી- જિઆંગના થ્રી રિપ્રેઝન્ટ્સ, દેંગ જિયાઓપિંગ થિયરી, અને માઓ ઝેદોંગ થોટથી જુદા પડતાં હતાં, સૌ પ્રથમ વખત સામાજિક કે આર્થિક લક્ષ્યાંકોને બદલે નૈતિક ધોરણોની સંહિતા નક્કી કરવાને કેન્દ્રમાં રાખવામાં આવી.
હુ લિયૂ યોંગક્વિંગને પરણ્યા છે, જેમને તેઓ ત્સિંગુઆ યુનિવર્સિટી ખાતે મળ્યા હતા. આ દંપતીને હુ હાઇફેંગ અને હુ હાઇક્વિંગ નામે બે બાળકો છે. હુ એવા પહેલા પીઆરસી(PRC) સર્વોચ્ચ નેતા છે જે કોઈ પણ પ્રાદેશિક લાક્ષણિકતાઓની તીવ્ર લઢણરહિત, પ્રમાણમાં સામાન્ય ચીની બોલે છે.[સંદર્ભ આપો] તેઓ પોતાના સાવધ અભિગમ અને સ્વ-ટીકાત્મક વ્યક્તિત્વ માટે જાણીતા છે.[સંદર્ભ આપો] પ્રધાનમંત્રી, વેન જિઆબાઓથી વિપરીત, તેમણે ક્યારેય જાહેરમાં એક-એકના ધોરણે ઇન્ટર્વ્યૂને મંજૂરી આપી નથી.[32] ટેબલ ટેનિસ અને બૉલરૂમ નૃત્ય માટેની તેમની રુચિ પણ ધ્યાનપાત્ર રહી છે. હુ ફોટોગ્રાફિક સ્મૃતિ ધરાવે છે એવું પણ કહેવાય છે જે તેમના હાઇસ્કૂલના દિવસોથી છતી થઈ હતી.[33][34]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.