ભજીયાં
From Wikipedia, the free encyclopedia
ભજીયાં એ વિવિધ શાકને ચણાના લોટ (બેસન)ના ખીરામાં લપેટીને બનતું એક તળેલું ફરસાણ છે.આ વાનગી ઝડપથી બની જાય છે માટે કોઈ મહેમાન આવ્યાં હોય ત્યારે ગૃહીણીઓ બજીયાંને તાજા નાસ્તા તરીકે પ્રાધાન્ય આપે છે. ભજીયાંમાં કદની દ્રષ્ટીએ મુખ્ય ભાગ શાક કે ઘટક તત્વનો હોય છે અને ખીરું તેની સપાટીને ઢાંકે છે. આ સિવાય જો ચણાના લોટના ખીરાંમાં અમુક ભાજી આદિને ઉમેરીને લખોટી જેવા ભજીયા બને છે તેને ડબકાં કહે છે.
આ વાનગીને નાસ્તા તરીકે, ભોજનમાં ફરસાણ તરીકે ખવાય છે. વરસતાં વરસાદમાં કાંદા કે અન્ય ભજીયાં ખાવાને એક લહાવો મનાય છે. મુંબઈ જેવા શહેરોમાં વડાપાવની જેમ ભજી-પાવ પણ ખવાય છે.
ખીરું એ ભજીયા નો મહત્વનો ભાગ છે જે ભજીયામાં સ્વાદ આપે છે. ચણાનો લોટ, મીઠું, સાકર(ખાંડ),સૂકું લાલ મરચું, હળદર, સોડા-બાય-કાર્બ અને ગરમ તેલનું મોણ એ ખીરાંના મુખ્ય ઘટક તત્વો હોય છે. સ્વાદ અનુસાર આ ઘટક તત્વો ઓછા વધુ કરી શકાય છે. ખીરામાં પલાળેલા પૌંઆ, ચોખાનો લોટ કે અન્ય પદાર્થો ઉમેરીને ભજીયાને કરકરાં બનાવી શકાય છે.