યજુર્વેદ
From Wikipedia, the free encyclopedia
યજુર્વેદ (સંસ્કૃત: यजुर्वेद) હિંદુ ધર્મના મૂળ શાસ્ત્ર એવા વેદો પૈકીનો બીજો વેદ છે, જે ગદ્ય શૈલીમાં લખાયેલા મંત્રોનો બનેલો છે.[1]] યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ-વિધાનનું સંકલન છે.[1] યજુર્વેદનો ચોક્કસ રચનાકાળ જાણી શકાયો નથી, પરંતુ આ વિષયમાં સંશોધન કરનારા મોટાભાગના સંશોધનકારો તેને ઈ.સ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસમાં રચવામાં આવ્યો હોવાનું માને છે, જેનો અર્થ એ થાય છે કે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના કાળનો જ વેદ છે.[2]
યજુર્વેદને ખાસ કરીને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ, જેને અંગ્રેજીમાં અનુક્રમે કાળો (બ્લેક યજુર્વેદ - "black" Yajurveda) અને સફેદ (વ્હાઇટ યજુર્વેદ - "white" Yajurveda) તરીકે વર્ણવવામાં આવે છે. કૃષ્ણ યજુર્વેદમાં કૃષ્ણ, કે જે કાળા રંગનો સૂચક છે, તેનો અર્થ એ થાય છે કે યજુર્વેદનો એવો ભાગ કે જેમાં મંત્રોની ગોઠવણી અનિયમિત, અસ્પષ્ટ અને પચરંગી છે; જ્યારે તેથી ઉલટું શુક્લ કે જે શ્વેત રંગનો સૂચક છે, એ શુક્લ યજુર્વેદમાં મંત્રો સ્પષ્ટ, નિયમિત અને ક્રમબદ્ધ ગોઠવાયેલા છે.[3] કૃષ્ણ યજુર્વેદના ચાર સંસ્કરણો મળી આવે છે જ્યારે શુક્લ યજુર્વેદ બે સંસ્કરણોના રૂપમાં સચવાએલો જોવા મળે છે.[4]
યજુર્વેદની સૌથી જૂની સંહિતામાં ૧૮૭૫ શ્લોકો છે, જે સર્વથા ભિન્ન હોવા છતાં ઋગ્વેદના શ્લોકો પરથી રચાએલા હોય તેવા છે.[5][6] તેના બાદનું સ્તર શતપથ બ્રાહ્મણ છે, જે વૈદિક ધર્મના બ્રાહ્મણ શાસ્ત્રોમાં સૌથી મોટો ગ્રંથ છે.[7] જ્યારે સૌથી તાજી કે નવી સંહિતામાં ઘણાબધા પ્રાથમિક ઉપનિષદોનો સમાવેશ થાય છે, એવા ઉપનિષદો જેમનો હિંદુ તત્ત્વજ્ઞાન/દર્શનશાસ્ત્ર પર ખાસો એવો પ્રભાવ છે. આ ઉપનિષદો છે: બૃહદારણ્યક ઉપનિષદ, ઈશ ઉપનિષદ, તૈત્તિરીય ઉપનિષદ, કઠ ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ અને મૈત્રી ઉપનિષદ.[8][9]તે હિન્દૂ ધર્મ નો એક મહત્વ નો ગ્રંથ છે