ભારતના વડાપ્રધાન
From Wikipedia, the free encyclopedia
ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.[1]
૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા,[2] જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે.[3]
રાજીવ ગાંધીના પાંચ વર્ષ પછી તેમના જ સાથી વી. પી. સિંહે જનતા દળના નેતા તરીકે નેશનલ ફ્રન્ટ ગઠબંધનની મદદથી ૧૯૮૯માં સરકાર બનાવી. નવેમ્બર ૧૯૯૦માં ચંદ્ર શેખર ૬ મહિના માટે વડા પ્રધાન બન્યા અને જૂન ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ સત્તા પર પરત ફર્યો. રાવની પાંચ વર્ષની મુદ્દત પછી ચાર ટૂંકાગાળાના વડા પ્રધાનો સત્તા પર આવ્યા, જેમાં ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી (૧૩ દિવસ માટે), યુનાઇટેડ ફ્રંટના એચ. ડી. દેવગૌડા, આઇ. કે. ગુજરાલ તેમજ ૧૯૯૮-૯૯માં વાજપેયી (૧૯ મહિના માટે)નો સમાવેશ થાય છે. ૧૯૯૯માં ત્રીજી વખત વાજપેયી વડા પ્રધાન બન્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાંચ વર્ષ સત્તા પર રહ્યો, જે આમ કરવાવાળી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી. વાજપેયી પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરી અને મનમોહન સિંહ બે મુદ્દત માટે ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુ.પી.એ.) ગઠબંધનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ.) સત્તા પર આવ્યો. ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે.[4] ઓગસ્ટ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.[5]