વલ્લભભાઈ પટેલ
ભારતીય સ્વાતંત્ર્ય સેનાની જેમણે ભારતનું એકીકરણ કર્યું / From Wikipedia, the free encyclopedia
સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ | |
---|---|
વલ્લભભાઈ પટેલ | |
૧લા નાયબ વડાપ્રધાન | |
પદ પર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
પુરોગામી | પદની સ્થાપના |
અનુગામી | મોરારજી દેસાઈ |
ગૃહમંત્રી | |
પદ પર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
પુરોગામી | પદની સ્થાપના |
અનુગામી | સી. રાજગોપાલાચારી |
ભારતીય સેનાના સુપ્રિમ કમાન્ડર-ઇન-ચીફ | |
પદ પર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
પુરોગામી | પદની સ્થાપના |
અનુગામી | પદનું વિસ્થાપન |
અંગત વિગતો | |
જન્મ | વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ (1875-10-31)31 October 1875 નડીઆદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હવે ગુજરાત, ભારત) |
મૃત્યુ | 15 December 1950(1950-12-15) (ઉંમર 75) મુંબઈ, બૃહદ મુંબઇ, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ઝવેરબા |
સંતાનો | મણિબેન પટેલ ડાહ્યાભાઈ પટેલ |
ક્ષેત્ર |
|
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૯૧) (મરણોત્તર) |
તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.