મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને પ્રતાપી રાજા From Wikipedia, the free encyclopedia
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ,દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસ નો અગત્ય નો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.
છત્રપતિ શિવાજી રાજે | |
---|---|
મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક | |
શાસન કાળ | ૧૬૭૪ - ૧૬૮૦ |
રાજ્યાભિષેક | ૬ જૂન ૧૬૭૪ |
જન્મ | ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૬ |
જન્મ સ્થળ | શિવનેરી કિલ્લો, મહારાષ્ટ્ર |
અવસાન | ૪ એપ્રિલ, ૧૬૮૦ |
અવસાન સ્થળ | રાયગઢ |
અંત્યેષ્ટિ | રાયગઢ |
પૂર્વગામી | શાહજી ભોંસલે |
ઉત્તરાધિકારી | શંભાજી મહારાજ |
વંશ/ખાનદાન | મરાઠા |
પિતા | શાહજી ભોંસલે |
માતા | મહારાણી જીજાબાઇ |
સંતાન | શંભાજી મહારાજ, રાજારામ |
ધર્મ | હિંદુ |
ઇ.સ.પૂર્વે ૩૦૦- ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતું. ત્યાર પછી નાના-નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યુ. ઇ.સ. ૧૨૯૨માં અલાઉદ્દિન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી.
૧૪૫૩માં બાહમની રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતી ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું.
૧૬૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી - બિજાપુર, અહમદનગર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા.
શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી જીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.
પોતાના પૂર્વજોની જેમ, શહાજી પણ મુઘલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મુઘલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલુ. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બિજાપુર આદિલશાહ સાથે જોડાઇ ગયા હતા. આદિલશાહે તેમને 'સર લશ્કર' નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઇ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા.
શિવાજીના જન્મ સમય માટે ઘણા વાદવિવાદ છે. ૧૯ ફેબ્રુઆરી કે ૬ એપ્રિલ કે ૧૦ એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુણેથી ૬૦ કિ.મી. અને મુંબઇથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. ત્યાંના સ્થાનિક શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ 'શિવા' રાખ્યુ હતુ. જીજાબાઇને બીજા પુત્રો હતા પરંતુ, એક બીજા મોટા પુત્ર સિવાય કોઇ જીવ્યુ ન હતું.
શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતના તાબામાં કામ કરતા હતા. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેને ૧૬૩૬માં હરાવ્યા હતા. ના છુટકે તેમણે પુણેનો ત્યાગ કરવો પડ્યો હતો અને આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી.
શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. આ મંડળીમાં હતા - પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોંડાદેવ બધીજ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી. શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યુ હતુ કે "આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે." આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યુ.
સુરત યુદ્ધ કે જે ૫ જાન્યુઆરી, ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજ અને ઇનાયત ખાન જે એક મુઘલ સુબેદાર હતો તેમની વચ્ચે સુરત શહેર, ગુજરાત નજીક થયું હતું. જેમાં શિવાજીએ પ્રમાણમાં નાના મુઘલ દળને હરાવ્યું. શિવાજીએ યુદ્ધ પછી સુરત શહેરમાં ઐતિહાસિક લુંટ ચલાવી હતી.[1] ત્યાર પછી તે પરત ફરતા ભવાની માતા ના મંદિર એ દર્શન કરી સૂર્યપુત્રી નદી કુદાવી હતી.
ઇનાયત ખાન આદિલ શાહ નો સુબેદાર હતો. તેને આદિલ શાહ ની માતા ને શિવાજીનું માથુ લાવવાનું વચન આપ્યુ હતુ. શિવાજી એ રાયેશ્વર મંદિર પર તોરના કિલ્લામા રહેલા તોરનાદેવીને મુક્ત કરવા ની પ્રતીજ્ઞા લીધી.શિવાજી એ બહુરુપી જોડે જઇ ને ઇનાયત ખાન ને મારીને તોરના કિલ્લામાં તોરનાદેવીના મંદિરમાં નવરાત્રિ મનાવી અને લોકોને ઇનાયત ખાનના અત્યાચારમાંથી મુક્ત કર્યા.
શિવાજીએ મુઘલ પ્રદેશો જીતવાનો પ્રયાસ કરતા ઔરંગઝેબે શિવાજીને કડક શિક્ષા કરવા શાઈસ્ત ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. શાઈસ્ત ખાને અહેમદનગરથી વિજયકૂચ કરી પૂનાનો કિલ્લો જીતી લીધો. પૂનામાં તેના રોકાણ સમય દરમિયાન શિવાજીએ લશ્કર સાથે હુમલો કરતા શાઈસ્ત ખાન બચીને દિલ્હી ભાગી ગયો. તેના પુત્રને લશ્કરે મારી નાંખ્યો.
આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા. મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, "ગઢ આલા પણ સિંહ ગેલા" (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું.
જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો.
ઇ.સ. ૧૬૭૭-૭૮ માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુંગભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.